- જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં સોમવારે સવારે નાસભાગ મચી હતી
- નાસભાગ થતા અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોત થયા છે
- દુર્ઘટનામાં મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે
બિહારના જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં સોમવારે સવારે નાસભાગ મચી હતી. નાસભાગ થતા અતસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.
શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પૂજા માટે ઉમટી પડ્યા હતા
શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પૂજા માટે ઉમટી પડ્યા હતા. મંદિરમાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળી હતી. પોલીસનું કહેવું છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવને જલાભિષેક કરવા મંદિર તરફ જતા રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી. લાઇનમાં ઉભેલા ભક્તોના ધક્કાના કારણે રેલિંગ તૂટી ગઈ અને આ અકસ્માત થયો.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
નાસભાગની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. જહાનાબાદના એસએચઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. અમે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળી રહ્યા છીએ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે.
જહાનાબાદના એસડીઓ વિકાસ કુમારે કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે
દરમિયાન, જહાનાબાદના ડીએમ અલંકૃતા પાંડેનું કહેવું છે કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના પર જહાનાબાદના એસડીઓ વિકાસ કુમારે કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે. બધી તૈયારીઓ સાચી હતી. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. આ પહેલા 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગને કારણે 120 થી વધુ લોકોના મોત થયા હતા. બાબા નારાયણ હરિના એક કાર્યક્રમ દરમિયાન આ નાસભાગ મચી હતી.