GUJARAT

Narmada નદીમા પાણી છોડાતા વડોદરા જિલ્લાના 25 ગામોને એલર્ટ કરાયા

નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

નર્મદા નદીમાં કુલ 2,20,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી

ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે બપોરે 1 કલાકે સરદાર સરોવર બંધનાં 15 દરવાજા 1.65 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 1,75,000 ક્યુસેક પાણી વહેશે.

અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 6 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,20,000 (45,000+ 1,75,000) કયુસેક પાણી છોડવામાં આવશે. વડોદરા કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાશે

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button