ભારે વરસાદ આવે અને રસ્તા તૂટે આ તો તમે સાંભળ્યું હશે પરંતુ સામાન્ય બે અઢી ઈંચ જેટલો વરસાદ થાય અને ગામો રસ્તા વિહોણા બની જાય આવું ક્યાંય સાંભળ્યું છે ખરા, પરંતુ આવુ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં બન્યું છે.
વધુ કપરી પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં સર્જાઈ
દાંતીવાડા પંથકમાં બે દિવસ પહેલા બેથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો અને દાંતીવાડાને અડીને આવેલા મારવાડા, રતનપુર સહિતના અનેક ગામોને જોડતા રસ્તા વરસાદી પાણીમાં ધોવાતા આ ગામો રસ્તા વિહોણા બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હજુ તો સામાન્ય વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાઓમાં રસ્તા તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સૌથી વધુ કપરી પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં સર્જાઈ છે.
દાંતીવાડા પંથકમાં બે દિવસ પહેલા બેથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો અને આ સામાન્ય વરસાદમાં જ દાંતીવાડાને અડીને આવેલા મારાવડા, રતનપુર, ધનાવાડા, માળીપરા સહિતના અનેક ગામોને જોડતા રસ્તાઓ વરસાદી પાણીમાં કાગળની જેમ ધોવાઈ ગયા છે. ગામોથી ગામને જોડતા રસ્તા તો ધોવાયા જ છે અને જેને કારણે આ માર્ગો પર મસ મોટા ખાડા પડી ગયા છે, પરંતુ ગામોની અંદર તો પૂર જેવી પરિસ્થિતિ બેથી અઢી ઈંચ વરસાદે ઉભી કરી છે.
રસ્તાઓ પર 4-5 ફૂટ ઉંડા ખાડા પડ્યા
માત્ર બેથી અઢી ઈંચ વરસાદમાં ગામોની અંદર આવેલા કાચા રસ્તા તો એવા ધોવાયા છે કે વાહનો તો દૂર પરંતુ સાયકલ લઈને પણ આ રસ્તા પરથી પસાર થવું હોય તો તે શક્ય નથી. કારણકે રસ્તા ઉપર ચાર-ચાર પાંચ-પાંચ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને ગ્રામજનો આ ચાર ચાર ફૂટ ખાડામાં ઉતરી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.
પરંતુ આ પરિસ્થિતિ આ ગ્રામજનો માટે એટલે ગંભીર નથી કેમ કે છેલ્લા આઠ દસ વર્ષથી દર વરસાદમાં આ ગામોની આજ સ્થિતિ સર્જાય છે, ગ્રામજનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી ચોમાસામાં સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માગ કરી છે, સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા કલેકટર કચેરી સુધી રજૂઆતો કરીને ગ્રામજનો થાકી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલો લવાયો નથી અને તેને જ કારણે આજે પણ આ ગામના લોકો ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડામાં ઉતરી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.
સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્ર સામે માગ
ગ્રામજનો હોય કે શાળાના વિદ્યાર્થીઓ તમામ લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગ્રામજનો અત્યારે તો તંત્ર પાસે એક જ માગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર જાગે અને રસ્તાઓની આ પરિસ્થિતિનું તંત્ર કોઈક નિરાકરણ લાવે. ત્યારે સામાન્ય વરસાદના કારણે જે સર્જાયેલી પુર જેવી આ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના તંત્ર અને તંત્રના કોન્ટ્રાક્ટરોની કામગીરીની પોલ ખોલી રહી છે.
Source link