અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રીટ કરાયા વિના સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણીને કારણે ફેલાતા પ્રદૂષણ મામલે કરવામાં આવી જાહેર હિતની અરજી (PIL)ને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી AMC તંત્ર અને શાસકો દ્વારા અંદાજે રૂ. 169 કરોડના ખર્ચે વાસણા અને વિંઝોલમાં બે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) બનાવવાની હિલચાલ હાથ ધરી છે.
આ હેતુસર વોટર સપ્લાય અને સુએજ કમિટીમાં સોમવારે બે દરખાસ્તો રજૂ કરાશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી આકરી ટીકાને પગલે AMC તંત્ર અને શાસકો મોડે મોડે જાગ્યા છે અને સાબરમતી નદીમા ગટરના ગંદા પાણી ઠલવાતા અટકાવવા હિલચાલ હાથ ધરી છે. આમ, હવે મ્યુનિ. દ્વારા વાસણા અને વિઝોલમાં વધુ કેપેસિટી ધરાવતા બે નવા STP બનાવવા અને પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથેના કોન્ટ્રાક્ટ આપવાનું ટેન્ડર રજૂ કરાશે.
શહેરના ચાંદખેડાથી લઈને વાસણા સુધીના પશ્ચિમ પટ્ટામાં આવેલા જુદા જુદા વિસ્તારોમાંથી અને વટવા, હાથીજણ, રામોલ, નારોલ, લાંભા, સહિતના પૂર્વ પટ્ટાના વિસ્તારોમાંથી મેગાલાઈન મારફતે ડ્રેનેજનું દરરોજ લાખો લિટર પાણી આવે છે. વાસણા અને વિંઝોલમાં આવેલા બંન્ને STP જૂની ટેકનોલોજી આધારિત છે અને આ બંન્ને STP જૂના હોવાથી તેમજ NGTના પર્યાવરણ સંબધિત નવા ક્રાઈટેરિયાનું પાલન કરી શકતા નથી અને પૂરતી ક્ષમતાથી ચાલતા ન હોવાથી ડ્રેનેજના પાણી ટ્રીટ થઈ શકતા ન હોવાથી સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વિના ઠલવાતું હોવાથી નદી પ્રદૂષિત થઈ રહી છે.
Source link