વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બે દિવસના સત્તાવાર પ્રવાસે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે સોમવારે વ્યાપક મંત્રણા કરી હતી. બંને દેશોએ દ્વિપક્ષી વ્યૂહાત્મક સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતા ઊર્જા સહયોગ વધારવા ચાર સમજૂતીઓ પર સહીસિક્કા કર્યા છે,
જેમાં અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL) વચ્ચે લાંબા ગાળાના LNG સપ્લાય માટે થયેલી તથા ADNOC અને ઇન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિ. વચ્ચે થયેલી સમજૂતી પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર એમિરેટ્સ ન્યુક્લિઅર એનર્જી કોર્પોરેશન (ENEC) અને ન્યૂક્લિઅર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે (NPCIL) પણ બારાકાહ ન્યુક્લિઅર એનર્જી પ્લાન્ટના સંચાલન અને નિભાવ માટે એમઓયુ સાઇન કર્યો છે. યુએઈ ગુજરાતમાં ફૂડપાર્ક સ્થાપશે, ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની વચ્ચે સમજૂતી થઈ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત-યુએઇ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વ્યાપક બનાવવાના ઉદ્દેશથી બહુઆયામી દ્વિપક્ષી સંબંધો પર ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પડકારો અંગે વિચારવિમર્શ પણ થયો હતો. ભારત-યુએઇ સંબંધોમાં શાનદાર પ્રગતિ થઇ રહી છે.
યુએઇમાં અંદાજે 35લાખ ભારતીયો
યુએઇમાં અંદાજે 35 લાખ ભારતીયો વસે છે. ગત વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી જી20 સમિટમાં યુએઇને વિશેષ આમંત્રિત દેશ તરીકે નિમંત્રણ અપાયું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં યુએઇ ભારતના સમર્થનથી બ્રિક્સનું સભ્ય પણ બન્યું હતું. ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ સહકારમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ગતિ જોવા મળી છે. જાન્યુઆરીમાં રાજસ્થાનના રણમાં ભારત અને યુએઇના સૈન્યોની સંયુક્ત લશ્કરી કવાયત પણ યોજાઇ હતી.
Source link