- કાચનું લેયર પાથરીને RCC કે પેવરબ્લોક કરાશે, કેટલું ચાલશે તેની ગેરંટી નથી
- ફૂડકોર્ટના લીધે ઊંદરો વધશે, કામ કરતાં પહેલાં અભિપ્રાય લેવો જોઈએ : સ્થાનિકો
- મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું છે
ઊંદરોના ત્રાસ વચ્ચે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવમાં વિકાસ પાછળ અંદાજે 14 કરોડથી વધુ રકમનો ખર્ચ કરાશે. મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે કે, તળાવમાં વોકવે સહિત જરૂરી જગ્યાએ કાચનું લેયર પાથરીને માટી નાખી આરસીસી કે પેવરબ્લોક કરાશે તો ઊંદરનો ત્રાસ નહીં રહે.
જોકે તળાવમાં કરેલું કામ કેટલું ચાલશે તેની કોન્ટ્રાક્ટરે કોઇ ગેરંટી આપી નથી. સ્થાનિકોએ કહ્યું કે, અત્યારે જ મોટા મોટા ઊંદર ફરી રહ્યા છે ત્યારે ફૂડકોર્ટના લીધે તો તળાવમાં ઊંદરો વધશે. આવા કામ કરતાં પહેલાં અભિપ્રાય લેવો જોઈએ.સરકારી તિજોરી પર ઊંદરો ભારે પડયા, કારણકે ઊંદરોના લીધે મ્યુનિ.નું બજેટ ત્રણ કરોડ વધી ગયું હોવાનું મનાય છે. અગાઉ તળાવના વોકવે સહિતના વિકાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. આ પછી કાચના લેયર સહિતના કામ વધી જતાં રૂપિયા ત્રણ કરોડનો વધારો કરાતા રિવાઇઝ ટેન્ડર કુલ આઠ કરોડનું થઇ ગયું છે. બજેટ વધ્યા પછી પણ ઉંદરો નહીં આવવાની ગેરંટી અપાઇ નથી. વસ્ત્રાપુર તળાવમાં ચાલવા જતાં લોકોને ઉંદરો જોવા મળે છે. કેટલાક સ્થળોએ માટીમાં મોટા હોલ થઇ ગયા છે. મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું છે. જેમાં વોકવે સહિત ઉપર અને નીચના ભાગમાં માટી કાઢયા પછી એક મીટર નીચ કાચનું લેયર પાથરવાનું અને તેના પર માટી નાંખી, આરસીસી કે પેવરબ્લોકનું કામ કરાશે. ઉલ્લેખનીય છેકે, મધ્યઝોનમાં ઉંદરોના ત્રાસ માટે કાચના ઉપયોગની સિસ્ટમ નિષ્ફળ નિવડી હતી.
આ પછી ડ્રેનેજના મેઇન હોલની ચારેય બાજુ આરસીસી કામ શરૂ કરાયું હતું. વસ્ત્રાપુર તળાવમાં 6 કરોડના ખર્ચે ઓપન થિયેટરમાં ફૂડકોર્ટ બનશે. સ્થાનિકોએ જણાવ્યું કે, ફૂડ કોર્ટથી તળાવના વોકવે વિસ્તારમાં પણ ઊંદરનો ત્રાસ વધશે. આ નિર્ણય યોગ્ય નથી. આ અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય લેવો જોઇએ અને ત્યારબાદ ખર્ચ કરવો જોઇએ નહીં તો નાણાંનો વ્યય થશે.
Source link