અમદાવાદ મહાનગરપાલિકા પોતાની વાહવાહી માટે તો હંમેશા આગળ રહે છે પરંતુ જનતાના કામ કરવામાં ખુબ પાછળ છે. સ્માર્ટ શહેરના ખોટા દાવોઓ તો તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ અમદાવાદના રસ્તાઓમાં અનેક સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળી રહી છે.
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અંધેર વહીવટની અનેક વાતો તમે સાંભળી જ હશે. વધુ એક વાત હવે ખુદ લાઈટને લઈ સામે આવી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટો તો અનેક છે પરંતુ અનેક લાઈટો બંધ અવસ્થામાં છે. અનેક ફરિયાદો છતાં લાઈટો ચાલુ કરવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સ્માર્ટ અને વર્લ્ડ હેરિટેજ સિટી છે
સ્માર્ટ સિટી હોય ત્યાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ પણ સ્માર્ટ હોવી જરૂરી હોય છે. પણ આ શહેરમાં શહેરીજનોને સુવિધા નહીં પણ અનેક દુવિધાઓ જ મળી રહી છે. સત્તાધીશો અને અધિકારીઓની લાલિયાવાડીથી શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં જ્યારે સૂરજ ઢળે એટલે અનેક જગ્યાએ ઘોર અંધકાર છવાઈ જાય છે. કારણ કે અનેક વીજપોલ પર લટકતી લાઈટો બંધ અવસ્થામાં છે. એક પણ લાઈટ ચાલુ કરીને શહેરને અંધારામાંથી બહાર કાઢવાની તસ્તી શહેરના સત્તાધીશોએ લીધી નથી.
સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી નગરજનોને પરેશાની
એવું બની શકે કે જે લાઈટો બંધ છે તેની જાણ AMCને ન હોય. અમદાવાદના સ્થાનિકોએ અનેક ફરિયાદો આ મામલે કરી છે. છેલ્લા બે વર્ષમાં 1 લાખ 88 હજાર ફરિયાદો માત્ર બંધ લાઈટની નોંધવવામાં આવી છે. પરંતુ હજુ સુધી ક્યાંય લાઈટ ઝબકી નથી. લાઈટ ખાતાની કામગીરી હોય છે કે સપ્તાહમાં એક દિવસ ફરજિયાત વિવિધ વિસ્તારમાં રાઉન્ડ મારવાનો હોય છે. પરંતુ મારે કોણ? અમદાવાદમાં જે લાઈટો બંધ છે તેનાથી શહેરીજનો આક્રોશિત છે. બંધ લાઈટને કારણે રાત્રે પાર્ક કરેલા વાહનો ચોરી થઈ જવાનો સતત ડર સતાવ્યા કરે છે. અંધારામાં મોબાઈલ કે ચેન સ્નેચિંગ શક્યતા રહે છે. તો ઘોર અંધકારનો લાભ લઈ અસામાજિક તત્વો આતંક મચાવે છે. અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને શહેરીજનોને પડતી હાલાકીથી વિપક્ષ આક્રોશિત છે. વિપક્ષના નેતાએ કોર્પોરેશન સામે આકરા પ્રહારો કર્યા છે. અધિકારીઓને પણ વિપક્ષે આડે હાથ લીધા.
Source link