જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીને લઇને કલમ 370 એક મોટો મુદ્દો બની ગયો છે. આ મામલે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફના નિવેદન બાદ તો રાજકીય ગરમાવો તેજ થયો છે. તેમણે કહ્યું કે કલમ 370 અને 35-A ને પુનઃ સ્થાપન કરવા માટે પાકિસ્તાન નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સાથે છે. આ મામલે બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા સામે આવી છે.
દેશ વિરોધી શક્તિ સાથે કેમ ઉભા છે રાહુલગાંધી ?
આ અંગે બીજેપી સાંસદે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પાકિસ્તાનના રક્ષા મંત્રીનું નિવેદન ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન, કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઈરાદા અને એજન્ડા તથા વિચારસરણી એક જ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સને અનુચ્છેદ 370 પર પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન તરફથી જે સમર્થન મળ્યું છે તેનાથી કોંગ્રેસનો ચહેરો લોકોની સામે ખુલ્લો પડી ગયો છે. આખરે જે લોકો આ દેશના ટુકડા કરવા માગે છે તેમની સાથે રાહુલ ગાંધી કેમ ઉભા છે?
ઝીણાની આત્મા આવી ગઇ રાહુલગાંધીમાં ?
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ટુકડે ટુકડે ગેંગને પોતાની પાર્ટીમાં શા માટે સામેલ કરે છે ? શું દેશ તેમને આજના ઝીણા તરીકે જોઈ રહ્યો છે ? શું રાહુલ ગાંધીમાં ઝીણાની આત્મા આવી ગઇ છે ? જમ્મુ-કાશ્મીરમાં નહેરુજીની સૌથી મોટી ભૂલ હતી કલમ 370. પીએમ મોદીએ તેને નાબૂદ કરી દીધી. શું રાહુલ ગાંધી કાશ્મીરમાં ફરીથી લોહીની નદીઓ વહે તેમ ઈચ્છે છે ?
રાહુલ ગાંધી હજુ કેટલા મૃતદેહો જોવા માંગે છે?
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ દરેક ચૂંટણીમાં પાકિસ્તાનના વખાણ કરે છે. હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક વખતે પણ કોંગ્રેસે આપણા જ સૈનિકો પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધી હંમેશા દેશ વિરોધી શક્તિઓ સાથે કેમ ઉભા રહે છે? હવે તેઓ કલમ 370 ફરીથી લાગુ કરવા માંગે છે. 45,000 લોકો માર્યા ગયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હજુ કેટલા મૃતદેહો જોવા માંગે છે?