ભારે વરસાદ આવે અને રસ્તા તૂટે આ તો તમે સાંભળ્યું હશે પરંતુ સામાન્ય બે અઢી ઇંચ જેટલો વરસાદ થાય અને ગામો રસ્તા વિહોણા બની જાય આવુ ક્યાંય સાંભળ્યું ખરી. પરંતુ આવુ બન્યું છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં બે દિવસ પહેલા બેથી અઢી ઇંચ જેટલો વરસાદ થયો અને દાંતીવાડાને અડીને આવેલા મારવાડા, રતનપુર સહિતના અનેક ગામોના ગામોથી ગામોને જોડતા રસ્તા વરસાદી પાણીમાં ધોવાતા આ ગામો રસ્તા વિહોણા બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં હજુ તો સામાન્ય વરસાદ થયો
બનાસકાંઠા જિલ્લામાં હજુ તો સામાન્ય વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાઓમાં રસ્તા તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સૌથી વધુ કપરી પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં સર્જાઇ છે. દાંતીવાડા પંથકમાં બે દિવસ પહેલા બેથી અઢી ઇંચ જેટલો વરસાદ થયો અને આ સામાન્ય વરસાદમાં જ દાંતીવાડાને અડીને આવેલા મારાવડા, રતનપુર, ધનાવાડા, માળીપરા સહિતના અનેક ગામોને જોડતા રસ્તાઓ વરસાદી પાણીમાં કાગળની જેમ ધોવાઈ ગયા છે. ગામોથી ગામને જોડતા રસ્તા તો ધોવાયા જ છે અને જેને કારણે આ માર્ગો પર મસ મોટા ખાડા પડી ગયા છે પરંતુ ગામોની અંદર તો પૂર જેવી પરિસ્થિતિ બે થી અઢી ઇંચ વરસાદ ઊભી કરી છે.
ગ્રામજનો આ ચાર ચાર ફૂટ ખાડામાં ઉતરી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા
માત્ર બે થી અઢી ઇંચ વરસાદમાં ગામોની અંદર આવેલા કાચા રસ્તા તો એવા ધોવાયા છે કે વાહનો તો દૂર પરંતુ સાયકલ લઈને પણ આ રસ્તા પરથી પસાર થવું હોય તો તે શક્ય નથી. કારણકે રસ્તા ઉપર ચાર પાંચ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને ગ્રામજનો આ ચાર ચાર ફૂટ ખાડામાં ઉતરી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી ચોમાસામાં સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માંગ કરી છે. સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા કલેકટર કચેરી સુધી રજૂઆતો કરીને ગ્રામજનો થાકી ગયા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લવાયો નથી અને તેને જ કારણે આજે પણ આ ગામના લોકો ચાર પાંચ ફૂટ ઊંડા ખાડામાં ઉતરી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ગ્રામજનો હોય કે શાળાના વિદ્યાર્થીઓ તમામ લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો અત્યારે તો તંત્ર પાસે એક જ માગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર જાગે અને રસ્તાઓની આ પરિસ્થિતિનું તંત્ર કોઈક નિરાકરણ લાવે.
Source link