- લગભગ ત્રણ વર્ષ બાદ નિકાસ સુધરતા કેમિકલ કંપનીઓ માટે ‘અચ્છે દિન’ની વાપસી
- કેમિકલ ઉત્પાદનનું હબ ગણાતા ગુજરાતની કંપનીઓના સ્ટોક પરફેર્મન્સમાં સતત સુધારો
- ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મંદીમાં હતો
સામાન્ય રીતે કોઈ ઇન્ડસ્ટ્રી કે સેક્ટર ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો હોઈ ત્યારે તેની સાથે જોડાયેલી કંપનીઓના સ્ટોક્સમાં પણ મોટાભાગે નરમ વલણ રહેતું હોય છે.
ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મંદીમાં હતો. પરંતુ નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત સાથે કેમિકલ્સના બિઝનેસમાં સુધારો થઇ રહ્યો છે. નિકાસ અને સ્થાનિક બજારમાં સારી માગ આવી રહી છે. એપ્રિલ-જૂન વચ્ચે કેમિકલની નિકાસ ગત વર્ષ કરતા 13.72% વધીને 25.11 લાખ ટન થઇ છે. કેમિકલ કંપનીઓનો બિઝનેસ વધવાની સાથે જ ગુજરાતની કેમિકલ કંપનીઓના શેર્સના ભાવમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી છે.
ગુજરાતની ટોચની અને જાણીતી કંપનીઓના શેરના ભાવના એનાલિસીસ કરતાં જોવા મળે છે કે આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 7%થી લઈને 84% સુધીનું તગડું વળતર આપ્યું છે. રીવ્યુ કરવામાં આવેલી 14 કંપનીઓમાંથી 8 કંપનીઓના શેરના ભાવ આ સમયગાળામાં 20%થી વધારે વધ્યા હતા, જયારે 6 કંપનીઓના ભાવ 7-20% જેટલા વધ્યા હતા. એપિગ્રાલના શેરનો ભાવ વર્ષની શરૂઆતમાં રૂ. 1,095.95 તે 84% વધીને અત્યારે રૂ. 2,012.40 પર પહોચ્યો હતો. આ સિવાય અસાહી સોન્ગ્વોન કલર્સના ભાવ 79% વધીને રૂ. 580.55 થયા હતા.
વળતર આપવાની બાબતમાં ગુજરાત સરકારની કંપનીઓ પણ પાછળ નથી. ગુજરાત આલ્કલી એન્ડ કેમિકલ્સના ભાવ રૂ. 673થી 15% વધીને રૂ. 776.15 થયો હતો. તેમજ ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના શેરનો ભાવ 7% વધીને 22 ઓગસ્ટે રૂ. 669.65 પર બંધ થયો હતો. મેઘમણી ઓર્ગેનિક્સ, કિરી ઇન્ડસ્ટ્રીઝ, અતુલ લિમિટેડ, દીપક નાઇટ્રેટ સહિતની કંપનીઓના સ્ટોક્સ નોંધપાત્ર વધ્યા છે.
Source link