સાસણ ગીર અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે જતા પ્રવાસીઓને હવે ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને લાયન પાર્કને જૂનાગઢ અને તાલાલાથી જોડતા માર્ગોને પહોળા કરવા નિર્ણય કર્યો છે. બુધવારે 42 કિલોમીટરના રસ્તાને એક સમાન રીતે મજબૂત અને પહોળો કરવા માટે રૂપિયા 43.50 કરોડની ફાળવણી કરી હતી. ઉપરોક્ત નિર્ણયથી સિંહ દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું વધુ સરળ પડશે. આ બંને પાર્ક સુધી પહોંચતા રસ્તાઓ ઉપર દિવાળી વેકેશન અને શનિવાર-રવિવારની રજાઓ તેમજ ધાર્મિક તહેવારોમાં પ્રવાસીઓનો ટ્રાફિક રહેશે. આથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી ખડીયા- મેંદરડા અને ત્યાંથી સાસણ વચ્ચેના માર્ગ તેમજ તાલાલાથી સાસણ વચ્ચે 42 કિ.મી. લંબાઈના માર્ગ માટે રૂ.43.50 કરોડની ફાળવણી કરી છે. આ સાથે જ ટૂંક જ સમયમાં માર્ગ મજબૂતીકરણ અને વિસ્તરણનું કામ શરૂ થશે. માર્ગ મકાન વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરોક્ત માર્ગ હાલમાં સાતથી 10 મીટર પહોળો છે. જેને એકસમાન 10 મીટર પહોળો કરવામાં આવશે. સિંહ દર્શને જતા પ્રવાસીઓ હવે આ રસ્તે પ્રભાસ પાટણ-સોમનાથ દેવસ્થાને પ્રથમ જ્યોર્તિલીંગના દર્શને પણ જાય છે. એથી, વધતા યાતાયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ માર્ગ મજબૂતીકરણ અને વિસ્તરણ કરવા રકમની ફાળવણી કરી છે.
Source link