- 27 મોત પછી રાજકોટને બચાવવા આવેલા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે પણ દુકાન ખોલી
- ફાયર ડાયરેક્ટોરેટમાં પાંચ જિલ્લા અધિકારીમાંથી બેની સામે ACB, ઈન્ચાર્જના નામે વેપાર
- સુપરવિઝન ઓથોરિટી જ નહીં, IPS કે IASને ડાયરેક્ટરપદે મૂકવાની ભલામણ અભરાઈએ
મડદા ચૂંથી પેટ ભરનાર ગીધ માંસનો ટુકડો મુકી દે પણ રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં 27 જીવતા નાગરીકોને ભડથું કરનારા 25મી મે, શનિવારે સાંજના અગ્નિકાંડ બાદ પણ ગુજરાત સરકારનુ ‘ડાયરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ’ મોતનો ખુલ્લો વેપાર કરી રહ્યો છે. આ તંત્રમાં ઉપરથી નીચે સુધી માત્ર પૈસાનો ખેલ ચાલી રહ્યો છે.
જો ખરેખર રૂપિયાનો ખેલ ન હોત તો 27 નિર્દોષ નાગરીકોના મોતના કેસમાં જે જેલમાં છે તેવા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સંભાળનાર ડિસ્ટ્રીક્ટ ફાયર ઓફિસર અનિલ મારૂ સાવ સામાન્ય NOC આપવા સામે રૂ. 3 લાખની માંગણી ન કરતા, રૂ.1.80 લાખની લાંચમાં પતાવટ કરતા નહી. ફાયર ઓથોરિટી હેઠળ પ્રાદેશિક કે જિલ્લા કચેરીઓમાં જાણે કોઈ લાજ, શરમ કે ડર જ ન હોય તેવો માહોલ છે.
ડાયરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી ફાયર અને તેની મંજૂરીઓને લઈ મોટાપાયે ભ્રષ્ટ્રાચારની ફરિયાદો છે. જેને 27 મોત પછી રાજકોટને બચાવવા નિયુક્ત ઈન્ચાર્જે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂના લાંચકાંડના કિસ્સાએ સમર્થન આપ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં રાજકોટના ચીફ ફાયર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થઈ ત્યારે ખાલી પડેલી એ જગ્યા ઉપર મ્યુ. કમિશનરે નવા અધિકારી નિયુક્ત કરવા રજૂઆત કરી તો સ્ટેટ ડાયરેક્ટોરેટે જે ઓફિસર રાજકોટમાં પ્રાદેશિક ઓફિસર તરીકે કામ કરી ચૂક્યા હતા તે અનિલ મારૂને જ ડેપ્યુટેશન પર મોકલી આપ્યા હતા ! એથી આ નિયુક્તિ જ ભ્રષ્ટાચારના આધાર ઉપર થયાનુ ચિત્ર ઉપસ્યુ છે. ફાયર ડાયરેક્ટોરેટમાં પહેલાથી જ સાત રિજિયોનલ ઓફિસરોમાંથી માત્ર ચાર જ જગ્યા પર રેગ્યુલર પોસ્ટિંગ છે. બાકીના ત્રણેય ચાર્જમાં છે. તેવી જ રીતે 33 જિલ્લામાંથી માત્ર પાંચ જ જિલ્લામાં ઓફિસરો હતા તેમાંથી ગોધરા પછી રાજકોટમાં ડેપ્યુટેશન પર રહેલા મારૂને પણ ACBએ લાંચ લેતા ઝડપી લેતા હવે 33 સામે માત્ર બે જ ઓફિસરો રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, દેશના અનેક રાજ્યોમાં ફાયર ડાયરેક્ટોરેટ IPS કે IASના વડપણ હેઠળ કાર્યરત છે ત્યારે ગુજરાતમાં પણ સનદીને બદલે આ સંવેદનશીલ નિયમન તંત્રને ફાયર ઓફિસરોને હવાલે મુકી દેવાયુ છે.
ફાયરના 3 સ્ટેશન ઓફ્સિરોને ACBનું તેડું
રાજકોટમાં 43 દિવસથી ચાર્જ ઉપર રહેલા લાંચિયા અધિકારીએ આ 43 દિવસમાં શું કામગીરી કરી, કોઈ એનઓસી આપી છે કે કેમ તે સહિતના મુદે તપાસ કરવા ફાયરના 3 સ્ટેશન ઓફ્સિરોને એસીબીએ પુછતાછ અર્થે તેડું મોકલ્યું છે.
અત્યાર સુધીમાં 14 અધિકારી સસ્પેન્ડ
મનસુખ સાગઠીયા : પૂર્વ ટીપીઓ
ગૌતમ જોષી : પૂર્વ એટીપીઓ
મુકેશ મકવાણા : પૂર્વ એટીપીઓ
રાજેશ મકવાણા : પૂર્વ એટીપીઓ
જયદીપ ચૌધરી : પૂર્વ આસી.ઈજનેર
ઈલેશ ખેર : પૂર્વ ચીફ્ ફાયર ઓફ્સિર
બી જે ઠેબા : પૂર્વ ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર
રોહિત વિગોરા : પૂર્વ ફાયર સ્ટેશન ઓફ્સિર
વી આર પટેલ : પૂર્વ પીઆઈ
એન આઈ રાઠોડ : પૂર્વ પીઆઈ
વી એસ વણઝારા : પૂર્વ પીઆઈ
જે વી ધોળા : પૂર્વ પીઆઈ
પારસ કોઠીયા : પૂર્વ મદદનીશ ઈજનેર
એમ આર સુમા : પૂર્વ ના. કાર્યપાલક ઈજનેર
Source link