GUJARAT

Gujarat Rain: અતિભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

  • મુખ્ય સચિવે વિવિધ વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનરોને તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચના આપી
  • તમામ સંભવિત જોખમને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવી
  • હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે તમામ જાણકારી આપી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મુખ્ય સચિવે બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા તમામ જિલ્લા કલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું. હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે તમામ જાણકારી આપી હતી.
અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ડ્યુટી પર હાજર રાખવા સૂચના
મુખ્ય સચિવે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરી લેવા સૂચના આપી હતી અને સાથે જ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર ફરજ પર હાજર રાખવા માટે પણ સૂચના આપી હતી.
રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા મુખ્ય સચિવે જણાવ્યું હતું. આ સાથે જ તમામ પ્રભારી સચિવોને પણ જરૂર જણાય તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના જિલ્લામાં હાજર રહીને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા જણાવ્યું છે.
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવા સૂચના
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગાહી વાળા જિલ્લાઓમાં ઉર્જા, પશુપાલન, વીજળી, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, જી.એમ.બી., સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા માટે કહ્યું છે.
ત્યારે વરસાદ બંધ થયા બાદ પાણી કોઈ વિસ્તારમાં ભરાઈ ના રહે, રોગચાળો ના ફેલાય, બંધ રોડ-રસ્તા વહેલી તકે ચાલુ થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરીંગ થાય, તે તમામ મુદ્દે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવે આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર દ્વારા વહીવટી તંત્રને અન્ય સૂચનો આપી, તકેદારી રાખવા જણાવાયું હતું. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તકેદારીના તમામ પગલાં ભરવા જરૂરી જણાવ્યું હતું.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button