- હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી પાંચ બેઠકો પર સપાનો દાવો
- આ બેઠકો દક્ષિણ હરિયાણામાં છે અને ત્યાં યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ
- રાજ્યની ચૂંટણીઓમાં I.N.D.I.A. ગઠબંધન મુદ્દે પાર્ટીઓમાં અસમંજસ
કોંગ્રેસની સાથે મળીને લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરનારી સમાજવાદી પાર્ટી (SP)એ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી પાંચ બેઠકો પર દાવો કર્યો છે. આ બેઠકો દક્ષિણ હરિયાણામાં આવેલી છે અને ત્યાં યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ વધારે છે. આ બેઠકો પર દાવો કરતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસના સંગઠન મહા સચિવ કે. સી. વેણુગોપાલ સાથે વાત પણ કરી છે.
સપાને બેઠક આપવા મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ
અખિલેશ યાદવે પણ હરિયાણાની આ બેઠકો પર દાવો એટલા માટે કર્યો છે કેમ કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશની લગભગ એક ડઝન વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં અમુક બેઠકો માગી છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ હજુ સુધી અખિલેશની આ માગ પર કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે ‘કેન્દ્રીય સ્તરે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી બંને I.N.D.I.A. ગઠબંધનનો ભાગ છે. પરંતુ હરિયાણામાં રાજ્ય સ્તરે આવું કોઈ ગઠબંધન નથી. આ સ્થિતિમાં કોંગ્રેસ ન તો રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરશે અને ન તો સમાજવાદી પાર્ટીને કોઈ સીટ આપવાની કોઈ વાત થયેલ છે.’
સમાજવાદી પાર્ટી સાથે કેન્દ્રીય સ્તરે ગઠબંધન છે
હુડ્ડાએ સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવા સક્ષમ છે. આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનના તમામ દાવાઓને ફગાવી દેતા હુડ્ડાએ કહ્યું કે ‘અમારું પણ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન છે, પરંતુ તે કેન્દ્રીય સ્તરનું ગઠબંધન છે, રાજ્ય આધારિત નથી. રાષ્ટ્રીય સ્તરે અમારી અન્ય ઘણી પાર્ટીઓ સાથે ગઠબંધન છે, પરંતુ રાજ્ય સ્તરે આજ સુધી આવી કોઈ ચર્ચા થઈ નથી.’
Source link