GUJARAT

Idar: મુધણેશ્વર મહાદેવના ધામ જાદરમાં ત્રણ દિવસ લોકમેળો યોજાશે

સમગ્ર રાજ્યમાં આસ્થાના પ્રતિક એવા ‘મુધણેશ્વર મહાદેવ’ના ધામ જાદરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભાદરવા માસના સુદ બીજા સોમવાર એટલે કે તા.16મી થી તા.18 સુધી (3 દિવસ) ભવ્ય લોકમેળો યોજાશે. મેળામાં પ્રથમ દિવસથી જ હજારો શ્રધ્ધાળુઓએ દાદાના ચરણોમાં શ્રીફળ વધેરીને ધન્યતા અનુભવે છે અને મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે. જાદર ગ્રામ પંચાયત દ્વારા મેળાનું તમામ આયોજન કરવામાં આવે છે. તેમજ કાયદો વ્યવસ્થા અને કોઈ અણબનાવ ન બને તે માટે પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરતા 1 ડીવાયએસપી, પીઆઈ, 3 પીએસઆઈ, 50 પોલીસ, 20 મહિલા પોલીસ, 100 હોમગાર્ડ મેળાનો બંદોબસ્ત કરશે. તેમજ મેળાની સુરક્ષા વ્યવસ્થા જળવાય તે માટે મેળાની ફરતે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેમજ કન્ટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ મંદિરનો ઈતિહાસ 700 વર્ષ પહેલાનો છે

જેના નામ માત્રથી ઝેર ઉતરી જાય છે તેવા ઈડર તાલુકાના જાદર ગામમાં આવેલા ચમત્કારીક ‘મુધણેશ્વર મહાદેવ’નું ઐતીહાસિક મહત્વ અનેકગણું છે, 700 વર્ષ અગાઉ મોગલોના રાજ સમયે મોગલસેના પ્રજાની જાનમાલ, મિલક્તો અને દેવાલયો ઉપર અત્યાચાર કરી રહ્યા હતા, તે સમયે આ વિસ્તારમાં ઘોર જંગલ હતુ અને મોગલ લશ્કરના ક્રુર સૈનિકો ગાયો વાળીને લઈ જઈ રહ્યા હતા. જેથી ગાયોની રક્ષા કરવા માટે ગોવાળીયાઓએ ત્યાંના મૃધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને મદદ માટે હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા માટે દોડી આવ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા મોગલ લશ્કરે જંગલમાં આગ લગાવી દીધી હતી. તેજ સમયે એક રાફડામાં રહેલા નાગદેવતા ગરમીથી ત્રસ્ત થઈને ખીજડાના વૃક્ષ ઉપર ચડી ગયા હતા અને પોતાનો પ્રાણ બચાવવા વાચા ફુટી હોય તેમ ગાયોની રક્ષા કરી રહેલા ક્ષત્રિય યુવાન મૃધવને આજીજી કરતાં મૃધવે નાગદેવતાનો જીવ બચાવવા તેમને પોતાની ઢાલ ઉપર લઈને ઢાલને તેના મસ્તક ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતાને મુકી દીધા હતા.

જેના કારણે નાગદેવતા રાજી થઈને મૃધવને વરદાન આપ્યુ હતુ કે ‘હે વીર તે મારો જીવ બચાવ્યો, તેથી હું તારો ઉપકાર કયારેય નહી ભુલુ. પરંતુ રણયુધ્ધ જતાં પહેલાં તે મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતાં તું મોગલ સેના સામે વીરગતી પામીશ. પરંતુ તે મને જીવતદાન આપ્યુ હોવાથી હુ તને શિવનું પરમપદ આપુ છુ અને તું આ સ્થળે શિવરૂપે (મૃધણેશ્વર મહાદેવ) સ્વયંભૂ પુજાઈશ અને તારા નામ માત્રથી સર્પદંશનું ભોગ બનનારનું ઝેર ઉતરી જશે.’

સાબરકાંઠા અને અન્ય જિલ્લાના ભક્તો અહીં દર્શનાર્થે આવે છે

આમ વર્ષો બાદ આ વિસ્તારના એક ગોવાળીયાને ઘરે ગાય દૂધ આપતી ના હોવાથી તેણે જંગલમાં ચરવા જતી ગાયનું દૂધ કોણ દોહી જાય છે? તેની તપાસ કરતાં જોવા મળ્યુ હતુ કે, ગાય એક જગ્યાએ સ્વંય દૂધની ધારા વહેવડાવી હતી. તેથી આશ્ચર્ય ચકિત થયેલા ગોવાળીયાએ એ સ્થળે તપાસ કરતાં ત્યાં સ્વયંભૂ શિવલીંગ જોવા મળ્યુ હતુ. આ અંગે આ વિસ્તારના લોકોને જાણ કર્યા બાદ તે દિવસથી આજસુધી અહીં મહાદેવ સ્વરૂપે મૃધવ ‘મુધણેશ્વર’ પુજાય છે અને તેની યાદમાં દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરુ થઈને ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં માત્ર સાબરકાંઠાના જ નહીં આસપાસના જિલ્લાના લાખો ભક્તો ઉમટીને ધન્યતા અનુભવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button