આજના સમયમાં ઘણા લોકો આરામ કરતા ડરે છે. ખાલી બેસતા જ તેમને અપરાધભાવ અથવા ગિલ્ટ અનુભવાય છે. આ માનસિક સ્થિતિને નિષ્ણાતો ‘રેસ્ટ ગિલ્ટ’ તરીકે ઓળખે છે. સતત વ્યસ્ત રહેવાની આદત એટલી સામાન્ય બની ગઈ છે કે આરામને હવે જરૂરિયાત નહીં, પરંતુ કમાઈને મેળવવાની વસ્તુ તરીકે જોવામાં આવે છે.
માનસિક નિષ્ણાતો મુજબ, ‘રેસ્ટ ગિલ્ટ’નો મૂળ બાળપણમાં મળેલી શીખમાં છુપાયેલો છે. નાની ઉંમરથી જ આપણને શીખવવામાં આવે છે કે હંમેશા કામ કરતા રહો, સમય બગાડશો નહીં અને વ્યસ્ત રહેવુ એ સફળતાનું નિશાન છે. પરિણામે, આપણું મન એવું માની લે છે કે આપણું મૂલ્ય આપણે કેટલા વ્યસ્ત છીએ તેના પર આધાર રાખે છે.
આ જ કારણે, જ્યારે શરીર અને મન થાકના સંકેતો આપે છે અને આરામની જરૂર હોય છે, ત્યારે પણ માણસ પોતાને રોકી શકતો નથી. જો થોડો સમય કામ ન કરે, તો તેને લાગે છે કે તે આળસુ બની રહ્યો છે અથવા જીવનમાં પાછળ રહી જશે. આ વિચારધારા ધીમે ધીમે માનસિક થાક, ચિંતા અને બર્નઆઉટ તરફ દોરી જાય છે.
નિષ્ણાતો કહે છે કે આરામ ન કરી શકવાનું બીજું મોટું કારણ ખાલીપાનો ડર છે. વ્યસ્ત રહેવું આપણને એ વિચારો અને લાગણીઓથી દૂર રાખે છે, જેમનો સામનો કરવા આપણે તૈયાર નથી. જ્યારે મન શાંત થાય છે, ત્યારે દબાયેલી ચિંતા, ડર અથવા દુઃખ બહાર આવી શકે છે, જે ઘણા લોકોને અસ્વસ્થ બનાવે છે.
પરંતુ હકીકત એ છે કે આરામ કરવો કમજોરી નથી. આરામ વિના લાંબા ગાળાની પ્રોડક્ટિવિટી શક્ય નથી. ગિલ્ટ વગર આરામ કરવો એ આળસ નહીં, પરંતુ માનસિક સંતુલન, સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી માટે જરૂરી પગલું છે. દ્રષ્ટિકોણ બદલવાથી જ ‘રેસ્ટ ગિલ્ટ’માંથી બહાર આવી શકાય છે.


Leave a Comment