આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શરમાએ શનિવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે કેટલાક જિલ્લામાં આધારકાર્ડ બનાવવા માટે લોકોએ એનઆરસી નંબર આપવો પડશે. મહત્વનું છે કે આસામમાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં તાજેતરની સ્થિતિને લઇને ઘૂસણખોરોની સંખ્યા પહેલા કરતા પણ વધી ગઈ છે. રાજ્ય સરકાર પણ આના પર સતત નજર રાખી રહી છે. આ દરમિયાન સીએમ હિમંતાએ આ જાહેરાત કરી હતી.
આસામમાં વધી ઘૂસણખોરી
તમને જણાવી દઈએ કે તાજેતરના અહેવાલોથી જાણવા મળ્યું છે કે આસામમાં ઘૂસણખોરોની સંખ્યામાં વધારો થયો છે. જેને જોતા સરકારે ગેરકાયદેસર પ્રવેશ રોકવા કાર્યવાહી તેજ કરી છે. આસામ સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં 54 ઘૂસણખોરો ઝડપાયા છે. તેમાંથી 48 ઘૂસણખોરો કરીમગંજ જિલ્લામાં, 4 બોંગાઈગાંવ જિલ્લામાં, એક-એક હાફલોંગ જીઆરપી અને ધુબરી જિલ્લામાં પકડાયા હતા. પકડાયેલા લોકોમાંથી 45 લોકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા હતા જ્યારે 9ને કરીમગંજમાં ધરપકડ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો
સરકારનું કહેવું છે કે આવા લોકોને શોધવા જરૂરી છે કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. આસામ પોલીસ બોર્ડર ઓર્ગેનાઈઝેશનને ઘૂસણખોરોને શોધી કાઢવા અને તેની ગતિવિધિઓને રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
સરહદ પર દેખરેખ મજબૂત કરવા સૂચના
આસામ સરકારે આસામ પોલીસ બોર્ડર ઓર્ગેનાઈઝેશનને સીમાની દેખરેખ અને સીમા સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનને મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય નિયમિત ગુપ્ત માહિતી સંગ્રહ, સમુદાય જાગૃતિ અને સહકાર, સમયસર કાયદાકીય કાર્યવાહી, વધારાના દળોની તૈનાતી, સરહદી ચોકીઓ અને દસ્તાવેજોને મજબૂત કરવા, બાયોમેટ્રિક્સનું સંગ્રહ, શંકાસ્પદ વ્યક્તિઓના આધાર નંબર અને વિદેશી તરીકે જાહેર કરાયેલ વ્યક્તિઓની ઓળખ અને ધરપકડની સૂચનાઓ આપવામાં આવેલ છે.