જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયુ. ત્યારે હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોના નેતાઓ જોર જોરથી ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે. બીજેપીએ પણ જમ્મુ કાશ્મીરમાં પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરમાં બે ચૂંટણી રેલી સંબોધવાના છે. પીએમ મોદીના આગમનને લઇને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
PM નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. બપોરે 12 વાગ્યે તેમની રેલી યોજાવાની છે. પીએમ મોદીની રેલીને લઇને રાજધાની શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર પાર્કની આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ત્યાં બહુસ્તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કાશ્મીર ઘાટીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ઉમેદવારોના સમર્થનમાં પીએમ મોદીની આ પ્રથમ રેલી છે.
કાશ્મીરની ત્રીજી મુલાકાત
પીએમ મોદીની આ રેલી પ્રખ્યાત લાલ ચોક ક્લોક ટાવરના એક કિલોમીટરના દાયરામાં યોજાઈ રહી છે. આ વર્ષમાં મોદીની આ ત્રીજી કાશ્મીર મુલાકાત છે. આ પહેલા તેમણે 7 માર્ચે બક્ષી સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરી હતી. ત્યારબાદ 21મી જૂને તેણે SKICC ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જો કે આ પહેલા પીએમ મોદીએ પહેલા તબક્કાના મતદાન પહેલા ગયા અઠવાડિયે ડોડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.
લોકોના આશીર્વાદ માંગીશઃ મોદી
રેલી પહેલા PM મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર કહ્યું કે હું આજે જમ્મુ અને કાશ્મીરના લોકો વચ્ચે આવવા માટે ઉત્સુક છું. શ્રીનગર અને કટરામાં રેલીને સંબોધીશ. ગઈ કાલના મતદાને દર્શાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના લોકો ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ચૂંટણી પ્રક્રિયાને જીવંત કરવા માટે ઉત્સુક છે. હું અમારા વિકાસ એજન્ડા વિશે વાત કરીશ અને લોકોના આશીર્વાદ માંગીશ.
Source link