HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

નર્મદા કેનાલ પરના 5 બ્રિજ સંપૂર્ણ બંધ, 4 પર ભારે વાહનોનો પ્રતિબંધ

Avatar photo
Updated: 16-07-2025, 04.09 PM

Follow us:

ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જ્યારે 5 પુલને સંપૂર્ણપણે બંધ કરાયા છે અને 4 પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં 17.92 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે 69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા આશરે 2,110 જેટલા પુલ કાર્યરત છે. આ પુલની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલનું વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

5 પુલ સંપૂર્ણપણે બંધ

આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા કુલ 05 પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય 04 પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે, નર્મદા કેનાલ પર સ્થિત બાકીના 2,065 નાના-મોટા પુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી છે.

કયા પુલ સંપૂર્ણપણે બંધ કરાયા

1. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.

2. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે 151એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.

3. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.

4. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.

5. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.

ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા પુલ

1. અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ.

2. અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.

3. અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.

4. પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.

રાજ્યના નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત પરિવહન પુલ પર સતત ભારણ અને પર્યાવરણીય પરિબળોની અસર થતી રહે છે. આવા સમયે સંભવિત જોખમોને ઓળખવા અને તેને સમયસર દૂર કરવા માટે નિયમિત નિરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. એટલા માટે જ, પુલનું નિરીક્ષણ અને સમારકામ એક સતત ચાલતી પ્રક્રિયાનો મુખ્ય ભાગ છે. ભવિષ્યમાં પણ નિયમિત નિરીક્ષણ અને સમયસર જાળવણી દ્વારા પુલની સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવશે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.