ભરૂચના જંબુસર એસ.ટી ડેપોમાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો છે. એસ.ટી બસમાં ખીચોખીચ મુસાફરોને ભરવામાં આવ્યા હોવાના કારણે પેસેન્જરોએ જંબુસર ST ડેપોમાં ભારે હંગામો મચાવ્યો હતો.
RTOના નિયમોની ઐસીતેસી કરતું જોવા મળ્યું ST તંત્ર
તમને જણાવી દઈએ કે એસટી બસમાં કેપિસિટી કરતા પણ વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાના કારણે મુસાફરો રોષે ભરાયા હતા. બીજી તરફ RTOના નિયમોનું જ ઉલ્લંઘન એસ.ટી. તંત્ર કરી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરાથી જંબુસર જઈ રહેલી એસટી બસના પેસેન્જરોનો ડેપોમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
ત્રણ બસ પેસેન્જરો માટે મુકવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો
બીજી તરફ જાણવા મળી રહ્યું છે કે આ રૂટ પર અનિયમિત એસટી બસ હોવાના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. 250થી વધુ પેસેન્જરો ડેપોમાં અટવાયા હતા અને ત્રણ બસ નહીં મુકાય તો મુસાફરી કરવાથી પેસેન્જરોએ ઈન્કાર કરી દીધો હતો. ત્યારે આ સમગ્ર મામલે જંબુસર એસ.ટી ડેપોના મેનેજરે જણાવ્યું કે હાલમાં વડોદરા જંબુસર રસ્તો ખરાબ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે. જો કે બાદમાં ત્રણ બસ પેસેન્જરો માટે મુકવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો.
નડિયાદ એસટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને કરાયો હતો હોબાળો
4 દિવસ પહેલા નડિયાદ એસટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને હોબાળો કરાયો હતો. પોતાના ગામની બસ ન મુકાતા વિદ્યાર્થીઓએ બસ રોકી હલ્લાબોલ કર્યો હતો. કારણ કે સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓને કોલેજ પહોંચવામાં અને કોલેજથી ઘર જવામાં મુશ્કેલી પડી રહી હતી. મહુધા તાલુકાના બગડુ, ભરકુંડા, સરસવણી, સિંહુજ ગામના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી હતી. 120થી 150 પેસેન્જર વચ્ચે ફક્ત એક જ બસ મુકાતા અન્ય પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નડિયાદ ડેપો મેનેજરે બીજી બસની વ્યવસ્થા કરી
બીજી બસ મૂકવા માટે અને સમસ્યાનું કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત સાથે માગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ કોલેજમાંથી બપોરે 1:00 વાગ્યે છૂટે છે અને સાંજે 5-6 વાગ્યે ઘરે પહોંચે છે. ત્યારે સમગ્ર હલ્લાબોલને પગલે નડિયાદ ડેપો મેનેજર 15 નંબરના પ્લેટફોર્મ પર પહોંચીને બીજી બસની વ્યવસ્થા કરી હતી તો તાત્કાલિક બીજી બસની વ્યવસ્થા કરાતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.
Source link