Surendranagar: લો બોલો… દસાડાના ખારાઘોઢા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા સપ્ટેમ્બર-2022થી ગેરહાજર
- ઠેરઠેર ભૂતિયા શિક્ષકોની બુમરાણ ઊઠતા રાજયકક્ષાએથી DEO-DPEOને તપાસના આદેશ થયા હતા
- સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગે 10 દિવસમાં હાજર થવા ફરમાન જારી કર્યુ
- બિન અધિકૃત રીતે ગેરહાજર રહેવા બદલ બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે
રાજયના ઉત્તર ગુજરાત વિસ્તારમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી રાજયની તમામ પ્રાથમીક, માધ્યમીક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા અને સતત 3 માસથી ગેરહાજર રહેનાર શિક્ષકોની વિગતો જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી અને જિલ્લા શિક્ષણાધીકારી પાસેથી મંગાવાઈ હતી. બિન અધિકૃત રીતે ગેરહાજર રહેવા બદલ બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં શિક્ષકોનું મહેકમ વધુ હોવાથી આવા કેસો સામે આવે તે સ્વાભાવીક હતુ. ત્યારે દસાડા તાલુકાના ખારાઘોઢા સ્ટેશન પ્રાથમીક શાળાના શિક્ષીકા ગત તા. 24-9-2022થી સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યુ છે. આ શિક્ષીકા રીનાબેન નીરંજનકુમાર બારોટનું મુળ વતન મહેસાણા જિલ્લાનું ઉંઝા ગામ છે. આ બાબત સામે આવતા સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી શીલ્પાબેન પટેલે શિક્ષીકાને 10 દિવસમાં કચેરી સમક્ષ હાજર થવા ફરમાન જારી કર્યુ છે. જેમાં કચેરી દ્વારા વારંવાર મૌખીક કે લેખીત જાણ કરવા છતાં આજ દિન સુધી ફરજના સ્થળે હાજર ન થયા હોવાથી નોકરીમાંથી દુર કરવાની વિચારણા હોવાનું પણ જણાવાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભુતીયા શિક્ષક સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.
રજાનો શું નિયમ હોય છે?
સરકારી કર્મચારીને વિદેશ જવા માટે પરત આવવાની શરતે 90 દિવસની રજા જિલ્લાકક્ષાએથી મંજુર કરાય છે. 90 દિવસથી વધુની રજા મળતી નથી. આ સીવાયની રજાઓ કપાત પગારી રજા કહેવાય છે. સતત ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે બરતરફ કરવાના પગલા લઈ શકાય છે. પરંતુ તેમાં પહેલા નોટીસ આપવાની હોય છે.
શાળા અને તાલુકા કક્ષાએથી પણ 3 નોટીસો અપાઈ
આ અંગે ખારાઘોઢા સ્ટેશન પ્રાથમીક શાળાના આચાર્ય દિનેશભાઈ રાવળ અને પાટડી તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી એ.એમ.સોલંકીએ જણાવ્યુ કે, રીનાબેન બારોટ વર્ષ 2022-23માં શાળામાં મદદનીશ શિક્ષીકા તરીકે હાજર થયા હતા. તેમનું મુળ વતન મહેસાણા જિલ્લાનું ઉંઝા છે. તેઓની રજાની અરજી નામંજુર થતા તેઓ કપાત પગારી રજા પર ઉતરી ગયા છે. તેઓએ રજા રીપોર્ટમાં સામાજીક કારણ દર્શાવ્યુ હતુ. ત્યારબાદ શાળા કક્ષાએથી 3 વાર અને તાલુકા કક્ષાએથી 3 વાર નોટીસ મોકલાયા બાદ સમગ્ર પ્રકરણ જિલ્લા કક્ષાએ મોકલી દેવાયુ છે. ત્યારબાદ તેઓને કોઈ પગાર પણ ચુકવાયો નથી.
કોઈવાર અપાયેલ રાજીનામું મંજૂર થતું નથી
આ અંગે શિક્ષણ વિભાગના જાણકારે જણાવ્યુ કે, સતત ગેરહાજર રહેવાના કિસ્સાઓમાં વિદેશમાં ગયા હોઈ અને ત્યાંથી રીટર્ન ન આવ્યા હોવાનું, મહિલા શિક્ષીકાના લગ્ન થઈ ગયા બાદ ગેરહાજર જેવા કિસ્સાઓ હોય છે. સામાન્ય રીતે આવા શિક્ષકો રાજીનામુ પણ આપી દેતા હોય છે. પરંતુ કોઈવાર વહીવટી કારણોસર રાજીનામુ મંજુર ન થતા તેઓ સતત ગેરહાજર દર્શાવાય છે.
Source link