- આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદે ભારે વિનાશ વેતર્યો
- બંને રાજ્યોમાં લાખો લોકો પૂરથી પ્રભાવિત
- 140 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 97 ટ્રેનોના રૂટ ડાયવર્ટ
દેશમાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે. પ્રચંડ પૂરને કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદે ભારે વિનાશ વેતર્યો છે. બંને રાજ્યોમાં લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 140 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 97 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત અને બિહાર બાદ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પૂરની ઝપેટમાં છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. હૈદરાબાદ સહિત અનેક મોટા શહેરોમાં રસ્તાઓ તળાવ બની ગયા છે. બંને રાજ્યોમાં પૂરના કારણે 19 લોકોના મોતના સમાચાર છે. 17 હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. પ્રશાસને શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે. ભારતીય રેલ્વેએ બંને રાજ્યોમાંથી પસાર થતી 140 ટ્રેનો પણ રદ કરી છે.
PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ બંને રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી છે.
સ્ટેશનો પર 6000 લોકો ફસાયા
દક્ષિણ મધ્ય રેલવેએ 140 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. 97 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના જુદા જુદા સ્ટેશનો પર 6000 થી વધુ મુસાફરો અટવાયેલા છે. બચાવ ટીમોએ પૂરથી પ્રભાવિત 17,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. પૂરનો પ્રકોપ સૌથી વધુ વિજયવાડામાં જોવા મળી રહ્યો છે. અહીં પૂરથી 2.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
IMDએ 4 દિવસનું એલર્ટ જાહેર
હૈદરાબાદમાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે પહેલા જ હૈદરાબાદમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં આજે એટલે કે 2જી સપ્ટેમ્બરે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાને કારણે અનેક જગ્યાએ સંપર્ક તૂટી ગયો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બોર્ડર પાસેનો પુલ પણ પૂરના પાણીથી તૂટી ગયો છે. બંને રાજ્યોના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
IT કંપનીઓ પણ બંધ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આંધ્રપ્રદેશમાં 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. હૈદરાબાદમાં પૂરના કારણે માત્ર શાળાઓ જ બંધ નથી રહી પરંતુ આઈટી કંપનીઓમાં કામ કરતા લોકોને પણ ઘરેથી કામ આપવામાં આવ્યું છે.
Source link