ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઈન્ડિયન કલ્ચર વિષય બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. યુનિવર્સિટીએ હવે આ વિષય ભણાવવાનો બંધ કર્યો છે.
GCAS પોર્ટલ પર 25 વિદ્યાર્થાઓએ કર્યું હતું રજિસ્ટ્રેશન
તમને જણાવી દઈએ કે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 25 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. એક મહિનો અભ્યાસ કરાવ્યા બાદ અન્ય વિષયમાં ટ્રાન્સફર કરવામાં આવતા હાલમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન કલ્ચર વિષયમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને ઈન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સમાં ટ્રાન્સફર કરાયા હતા.
કોઈ પણ જાણ કર્યા વગર અન્ય વિષયમાં ટ્રાન્સફર કરાયાઃ વિદ્યાર્થીઓ
ત્યારે આ અંગે અનેક રજૂઆત કરવા છતાં યુનિવર્સિટીના અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે કોઈ પણ જાણ કર્યા વગર અન્ય વિષયમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને વિષય બદલી દેવામાં આવતા હવે PHDની તૈયારી કરવા માટે મોટી તકલીફ ઉભી થશે.
અગાઉ પણ યુનિવર્સિટી આવી હતી વિવાદમાં
તમને જણાવી દઈએ થોડા સમય પહેલા પણ ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં આવી હતી. મહિલા અધ્યાપક દ્વારા કરવામાં આવેલી માનસિક અને જાતીય સતામણીની ફરિયાદને લઈને ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના એક મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરાઈ હતી. મહિલા અધ્યાપક દ્વારા સમાજવિદ્યા ભવનના અધ્યાપક મુકેશ ખટીક વિરુદ્ધ અનેક આક્ષેપો પણ કરાયા હતા. મુકેશ ખટીક સામે મહિલા અધ્યાપકે માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદો કરી હતી અને આ ફરિયાદને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં EC અને BOM વચ્ચે બેઠક પણ મળી હતી.
ભારે વરસાદને પગલે ગુજરાત યુનિવર્સિટી તળાવ બન્યું હતું
થોડા સમય પહેલા અમદાવાદમાં ભારે વરસાદને પગલે ગુજરાત યુનિવર્સિટી તળાવ સમાન લાગે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શિક્ષણના ધામમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી. વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ પરિસરમાં પાણી ભરાયું હતું અને સાયન્સ વિભાગ સહિતના વિભાગમાં વરસાદી પાણી ભરાયુ હતું.
Source link