ભારતીય ટીમ ટૂંક સમયમાં બાંગ્લાદેશ સાથે ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. BCCIએ સિરીઝની પહેલી મેચ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરી છે, જેમાંથી ઘણા ખેલાડીઓના નામ નથી. કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે બહાર છે તો કેટલાક ખેલાડીઓને ખરાબ ફોર્મના કારણે ટીમની બહાર રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં એક ઓલરાઉન્ડર પણ સામેલ છે, હવે તેના મેદાનમાં વાપસીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ આ મજબૂત ઓલરાઉન્ડર ઈરાની કપમાંથી ક્રિકેટ મેદાનમાં પરત ફરી કરી શકે છે.
શાર્દુલ ઠાકુર કમબેક માટે તૈયાર
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઈજાના કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. રિપોર્ટ મુજબ શાર્દુલની 12 જૂને પગની ઘૂંટીની સર્જરી થઈ હતી અને હવે ખેલાડી ક્રિકેટ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024 દરમિયાન શાર્દુલને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, ત્યારથી આ ખેલાડી ક્રિકેટના મેદાનથી દૂર છે. પરંતુ હવે આ ખેલાડી ઈરાની કપમાં વાપસી કરી શકે છે.
આ તારીખથી શરૂ થશે ઈરાની કપ
શાર્દુલ ઠાકુરે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય શાર્દુલ ઠાકુરે મુંબઈને રણજી ટ્રોફી 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાર્દુલે બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં શાર્દુલે બેટિંગ કરતા 255 રન બનાવ્યા હતા. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે, જે તેને સેમી ફાઈનલ મેચમાં ફટકારી હતી. આ સિવાય ઠાકુરે બોલિંગ દરમિયાન 16 વિકેટ પણ લીધી હતી.
શાર્દુલ ઠાકુર છેલ્લે વર્ષ 2023માં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળ્યો હતો. હવે સર્જરી બાદ શાર્દુલનું 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઈરાની કપમાં પરત ફરવું નિશ્ચિત માનવામાં આવે છે. પ્રથમ મેચમાં મુંબઈ અને બાકીની ભારતની ટીમો સામસામે ટકરાશે. શાર્દુલ આ મેચમાં રમી શકે છે.