- પૂર્વમાં જળબંબાકારની સ્થિતિ : નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ અને મણિનગરમાં બે ઈંચ વરસાદ
- અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય : ઠેરઠેર પાણી ભરાતાં રહીશો, વાહનચાલકોને ભારે હાલાકી
- કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, ઓઢવમાં પોણા બે ઈંચ, બીજી તરફ પશ્ચિમમાં અડધા ઈંચ જ વરસાદ
સોમવારે સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થવા સાથે શહેરના પૂર્વ પટ્ટામાં બારે મેઘ ખાંગા થયા હતા અને નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
જેના કારણે કુબેરનગર મેઈન બજાર, સૈજપુર, સિંધી બજાર, વગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના મકાનો અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત મણિનગરમાં બે, કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, અને ઓઢવમાં પોણા બે તથા રામોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક સ્થળે પાણી ભરાવાને કારણે નોકરી- ધંધેથી ઘેર જનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેમજ ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.
શહેરના પૂર્વ પટ્ટાની સરખામણીએ પશ્ચિમ વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો હતો. ચાંદખેડા, ટાગોર કંટ્રોલ, ઉસ્માનપુરા, રાણીપ, વાસણા બેરેજ, ચાંદલોડિયા, મક્તમપુરા, વગેરે વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજમાં 131.25 ફુટનું લેવલ નોંધાયું છે અને વાસણા બેરેજના 4 દરવાજા બેથી ત્રણ ફુટ જેટલા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરના તમામ અન્ડરપાસ ટ્રાફિક માટે ખુલ્લા રહ્યા છે.
Source link