મારું ગુજરાત

Arvali : વડાગામમાં ફાર્મહાઉસમાં બે કર્મીને બંધક બનાવી બુકાનીધારીઓએ 3 લાખ લૂંટ્યા

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આવેલા એક ફાર્મહાઉસ પર મોડી રાત્રે લૂંટની ઘટના બની છે. આશરે છથી સાત બુકાનીધારી અને હથિયારબંધ લૂંટારુઓની ટોળકીએ ફાર્મહાઉસ પર ત્રાટકીને બે કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા અને ત્યારબાદ રોકડ તથા મોબાઈલ ફોન સહિત ₹3 લાખથી વધુની લૂંટ ચલાવી હતી.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે, જેના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

મધ્યરાત્રિએ હુમલો અને બંધક બનાવવાની ઘટના

ઘટના અમદાવાદ-મોડાસા હાઇવે પર આવેલા વડાગામના એક ફાર્મહાઉસમાં બની હતી, જે કમલેશ પટેલ નામના ખેડૂતનું છે. મધ્યરાત્રિએ ફાર્મહાઉસના ચોકમાં સૂઈ રહેલા બે સ્થાનિક કર્મચારીઓ પર છથી સાત બુકાનીધારી લૂંટારુઓએ અચાનક હુમલો કર્યો હતો. લૂંટારુઓ કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા.

ઝપાઝપી બાદ રોકડ અને મોબાઈલની લૂંટ

લૂંટારુઓએ બંને કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી તેમને પકડીને ફાર્મહાઉસના મકાનની અંદર લઈ ગયા હતા. આ સાથે જ, તેઓએ બહાર ખાટલા પર પડેલા બંને કર્મચારીઓના મોબાઈલ ફોન પણ પડાવી લીધા હતા. ત્યારબાદ લૂંટારુઓની ટોળકીએ ઘરમાં રાખેલા ₹3 લાખ જેટલી રોકડની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી

લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓએ બંને કર્મચારીઓને એક રૂમમાં બંધ કરી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. સવારે આસપાસના લોકોએ બંધક બનેલા કર્મચારીઓને મુક્ત કરાવ્યા અને તુરંત ધનસુરા પોલીસને જાણ કરી હતી. લૂંટની ગંભીરતા જોતા, ધનસુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button