મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન સમાપ્ત કર્યું છે. આ બનાવને કારણે કોલેજ કેમ્પસમાં તેમજ શિક્ષણ ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
BSC નર્સિંગની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
મૃતક વિદ્યાર્થિનીનું નામ અસ્મિતા પટેલ હોવાનું સામે આવ્યું છે. તે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની રહેવાસી હતી અને BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી મુજબ, તે કોલેજના હોસ્ટેલના A-208 નંબરના રૂમમાં રહેતી હતી.
ખાસ વાત એ છે કે નર્સિંગની પરીક્ષા હજુ ગઈકાલે જ પૂર્ણ થઈ હતી, અને આજે જ આ દુઃખદ ઘટના બની ગઈ. ઘટના સમયે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, જેના લીધે રૂમમાં અસ્મિતા એકલી હતી. આ દરમિયાન અજાણ્યા કારણોસર તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. અત્યાર સુધી આ પગલું ભરવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
દરવાજો તોડતા વિદ્યાર્થિની લટકતી હાલતમાં જોવા મળી
આ બનાવનો ખુલાસો ત્યારે થયો જ્યારે હોસ્ટેલનો સફાઈ કર્મચારી રૂમ સાફ કરવા માટે આવ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. શંકા જતાં તેણે અન્ય સ્ટાફની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો, જ્યાં વિદ્યાર્થિની લટકતી હાલતમાં જોવા મળી હતી.
આ દ્રશ્ય જોઈને સ્ટાફ ચકિત થઈ ગયો અને તરત જ કોલેજ સંચાલનને જાણ કરવામાં આવી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરી અને મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી શરૂ કરી.




Leave a Comment