Accident on Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફરી એકવાર ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા નજીક બનેલી આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે, જ્યારે 8 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
માહિતી મુજબ, પંચમહાલ જિલ્લો વિસ્તારમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ઘટનાસ્થળે જ માતા, પિતા અને પુત્રના મોત નિપજ્યા હતા, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુરતથી પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા
આ પરિવાર મહિસાગર જિલ્લાના મૂડાવડેખ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સુરતથી પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્મતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી 8 વર્ષની બાળકીનું તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના બાદ સ્થાનિક લોકો અને રાહત ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે
ઉલ્લેખનીય છે કે દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે થોડા સમય પહેલાં જ ટ્રાયલ માટે ખુલ્લો મૂકાયો છે, છતાં અહીં સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં પણ આ જ માર્ગ પર એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાની ઘટના સામે આવી હતી.
આ સતત બનતી દુર્ઘટનાઓને લઈને માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને નિષ્ણાતો દ્વારા એક્સપ્રેસવે પર સલામતીના વધારાના પગલાં લેવા અને ટ્રાફિક નિયંત્રણ વધુ કડક બનાવવાની માંગ ઉઠી રહી છે.




Leave a Comment