Abhishek Banerjee Attack: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને નિવેદનબાજી રોકાવાનું નામ નથી લઈ રહી. શનિવારે ટીએમસી નેતા અભિષેક બેનરજી પર સોનારપુરમાં ઉગ્ર ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેમાં તેઓ ઘાયલ થયા હતા. સુરક્ષાકર્મીઓએ માંડ-માંડ તેમને હેલ્મેટ પહેરાવીને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ અભિષેક બેનરજીને કોલકાતાની ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે આ હોસ્પિટલના વહીવટી સ્ટાફ સાથે પૂર્વ સીએમ મમતા બેનરજીની વાતચીતનો એક કથિત ઓડિયો વાયરલ થતાં હલચલ મચી ગઈ છે.
‘ભગવાન તમને માફ નહીં કરે…’ વાયરલ ઓડિયોની વિગતો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કથિત ઓડિયોમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી હોસ્પિટલના સીઈઓ મિસ્ટર ટંડનને બાંગ્લા અને અંગ્રેજી મિક્સ ભાષામાં ધમકાવતા સાંભળવા મળી રહ્યા છે. ઓડિયો અનુસાર મમતા બેનરજી કહી રહ્યા છે કે, “મિસ્ટર ટંડન, આઈ એમ સોરી, પણ તમે ખોટું કામ કર્યું છે. યાદ રાખો કે અમે તમારી કેટલી મદદ કરી છે. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તમને શરમ આવવી જોઈએ. દરેક વ્યક્તિ તમારા આ અહંકારને યાદ રાખશે.” આગળ તેઓ કહે છે કે, “તમે હોસ્પિટલ ચલાવી રહ્યા છો અને અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. કાલે જો કેન્દ્ર સરકાર નહીં હોય, તો અમે આ બાબતનું ધ્યાન રાખી લઈશું (We will take care of it).”
ભાજપના દબાણમાં ડિસ્ચાર્જ કરવાનો આક્ષેપ
આ ઓડિયો સામે આવ્યા પહેલા પણ મમતા બેનરજીએ મીડિયા સમક્ષ હોસ્પિટલ પ્રશાસન અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના દબાણમાં આવીને હોસ્પિટલે અભિષેક બેનરજીને અધૂરી સારવારે ડિસ્ચાર્જ કરી દીધા છે. મમતા બેનરજીએ સવાલ કર્યો કે, “જો અભિષેકની હાલત ગંભીર નહોતી તો તેમને આઈટીયુ (ITU) માં કેમ રાખવામાં આવ્યા હતા? અને જો તેઓ ગંભીર હતા, તો આટલી ઉતાવળમાં કેમ છોડી દેવાયા?”
‘લોકશાહીની હત્યા’: મમતા બેનરજી
પૂર્વ મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે. તેમણે જણાવ્યું કે અભિષેક બેનરજીના શરીરમાં લોહીના ગંઠાવા (Blood Clots) જામી ગયા છે. જો હુમલા સમયે તેમણે હેલ્મેટ ન પહેર્યું હોત તો તેમનું મોત પણ થઈ શકત. હવે અભિષેકની સારવાર ઘરે જ હોસ્પિટલની જેમ ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી તબીબી સાધનો ગોઠવીને કરવામાં આવશે અને જો તેમને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલ પ્રશાસનની રહેશે. મમતા બેનરજીએ બંગાળના સ્થાનિક ભાજપ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે દિલ્હીના નેતાઓ કરતાં બંગાળના નેતાઓ વધુ ખરાબ છે, સાથે જ તેમણે રાજ્યની સીઆઈડી (CID) ને પણ ડરપોક ગણાવી છે.



Leave a Comment