Love Jihad Case: વલસાડના ઉમરગામ તાલુકાના, ખાસ કરીને સંજાણ તેમજ આસપાસના વિસ્તારોમાં હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી, તેમનું ધર્માંતરણ કરાવી વિદેશ ભગાડી જવાના કિસ્સા સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતને લઈને સમસ્ત હિંદુ-જૈન સમાજ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં કાયદો કડક હોવાથી મહારાષ્ટ્રનો લે છે આશરો
સમસ્ત હિંદુ-જૈન સમાજ દ્વારા લવ જેહાદ મામલે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઉમરગામ તાલુકાના સંજાણ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને લક્ષ્ય બનાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ધર્માંતરણ અને લગ્ન સંબંધિત કાયદાઓ ખૂબ જ કડક હોવાના કારણે, આરોપીઓ પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર વિસ્તાર અથવા ધોલવડ ગામનો આશરો લઈ લગ્ન કરી લે છે.
રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા
તાજેતરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે, સંજાણ પંથકની દીકરીઓ માટે રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા કરાવી તેમને લંડન મોકલી દેવાની અને ત્યાં નિકાહ/લગ્ન કરાવી લેવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ ઘટનામાં દીકરી પાસે તેના જ ઘરેથી પૈસા અને દાગીનાની ચોરી પણ કરાવવામાં આવી હતી.
આવેદનપત્ર પાઠવી હિંદુ સંગઠનોએ નીચે મુજબની માંગણીઓ કરી છે.
– આરોપીઓ સામે પાસપોર્ટ અધિનિયમ અને વિઝાના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી થાય.
– દીકરીઓને રાતોરાત વિદેશ મોકલવા માટે ટિકિટ, વિઝા અને આર્થિક મદદ પૂરી પાડનાર કોઈ સંગઠન, વકીલ કે ચોક્કસ જૂથ સામેલ છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ થાય.
– આ દીકરીઓની મરજી હતી કે પછી કોઈ ડિજિટલ બ્લેકમેલિંગ, ફોટો-વીડિયો કે માનસિક દબાણ હેઠળ આ પગલું લેવડાવવામાં આવ્યું છે, તેની તપાસ થાય.
– સ્કૂલ- કોલેજોની આસપાસ આવા અસામાજિક તત્ત્વો પર નજર રખાય અને મહિલા પોલીસ દ્વારા ત્યાં અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવે.
દીકરીઓની તસ્કરી જેવું મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર
આ મામલે સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે, આ કોઈ સામાન્ય ગુનો નથી પરંતુ દીકરીઓની તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) જેવું એક મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે. પોલીસ આ મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી ગુનેગારોને કડક સજા કરે તેમજ ભોગ બનનાર દીકરીને પરત લાવવામાં તેના પરિવારને મદદ કરે તેવી અપીલ કરવામાં આવી છે.


Leave a Comment