કચ્છમાં ટ્રેલર-બાઇક વચ્ચે અકસ્માત: માતા-પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત

ગુજરાતના કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દોલતપર-દયાપર પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માતા-પુત્રના નિપજ્યા મોત
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી 1 કિ.મી. દૂર દોલતપર-દયાપર હાઇવે પર આજે દ્વિચક્રી વાહન અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત થતાં અબડાસા તાલુકાના ત્રંબૌ રહેતા જ્યોતિબેન અરવિંદભાઇ સોધમ (ઉ.વ. 42) અને દેવજી ઉર્ફે અજિત અરવિંદભાઇ સોધમ (ઉ.વ. 21) બંનેનાં સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.
બાઇક નંબર જીજે-12-એચએફ-0452 અને ટ્રેઇલર નં. જીજે-39-ટી-9912 વચ્ચે દયાપર-દોલતપર હાઇવે પર કમલેશ્વર મહાદેવ મંદિર નર્સરીવાળા વળાંક પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જ્યોતિબેન (ઉ.વ. 42) અને તેમના પુત્ર દેવજી (અજિત) (ઉ.વ. 21)નાં સ્થળ પર કરુણ મોત નીપજ્યાં હતાં.
પૂરઝડપે જઇ રહેલા ટ્રેઇલરે માતા અને પુત્રને હડફેટે લીધાં હતાં. દયાપર ખાતે પરિવારમાં લગ્નપ્રસંગ હોઇ માતા-પુત્ર બાઇકથી અહીં આવ્યાં હતાં. બપોરે લગ્નપ્રસંગ પૂર્ણ થતાં તેઓ ત્રંબૌ જવા નીકળ્યા હતા, જ્યાં એક કિ.મી.નું અંતર કાપ્યા પછી અકસ્માતનો ભોગ બનતાં ગમગીની છવાઇ હતી.
એક જ પરિવારમાં બે મૃત્યુ થતાં દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે લઇ જતાં પરિવારના સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. મહિલાઓએ દવાખાનામાં રૂદન કરતાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. આ બાબતે દયાપર પોલીસ તપાસ કરી રહી છે.