જામનગર ફાઇટર પ્લેન ક્રેશમાં શહીદ પાઈલટની કહાની જાણો, 10 દિવસ પહેલા થઈ હતી સગાઈ, પરિવારનો એકનો એક પુત્ર….

જામનગર તાલુકાના સુવરડામાં બુધવારે મોડીરાત્રે જગુઆર ફાઈટર પ્લેન અકસ્માતે તૂટી પડતા એક પાયલોટ શહીદ (Jamnagar jaguar Plane Crash) થયો હતો. જ્યારે એકને ઈજા પહોંચતા તેને પ્રથમ જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ત્યાંથી એરલીફ્ટ કરીને વધુ સારવાર માટે એરફોર્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.આ પાઇલોટ માતા-પિતાના એકના એક પુત્ર હતા.તેમજ તેની સગાઇ હજુ 10 દિવસ પહેલા થઇ હોવાનું સામે આવ્યું છે.
ઉંમર 28 વર્ષ, પરિવારનો એક માત્ર પુત્ર, 10 દિવસ પહેલા સગાઈ, લગ્નની તૈયારી કરતી વખતે શહીદ થયાના સમાચાર… આ વાર્તા છે ગુજરાતના જામનગરમાં બુધવારે રાત્રે ક્રેશ થયેલા જગુઆર ફાઈટર પ્લેનમાં શહીદ થયેલા ફ્લાઈટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવની. સિદ્ધાર્થ યાદવ હરિયાણાના રેવાડીનો રહેવાસી હતો. બુધવારે જ્યારે સિદ્ધાર્થની શહાદતના સમાચાર સામે આવ્યા ત્યારે તેનો પરિવાર હજુ તેના લગ્નની તૈયારી કરી રહ્યો હતો. સિદ્ધાર્થની શહીદીથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ.
સિદ્ધાર્થના પરિવારજનો અને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 23 માર્ચે તેની સગાઈ થઈ હતી. 31 માર્ચે રેવાડીથી રજા પૂરી કરીને તે જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યો હતો. બે દિવસ બાદ જ અકસ્માતમાં શહીદ થવાના સમાચાર સામે આવ્યા.