Ahmedabad : પત્નીના ભાઈઓએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દીધો, યુવકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદના વાડજ વિસ્તારમાં સાળાઓએ બહેન સાથે અણબણાવના કારણે રોષે ભરાઈ બનેવીની હત્યા કરી નાંખી હતી. ભાવેશ મકવાણા નામના વ્યક્તિનો તેની પત્ની સાથે અંગત કારણોસર કોઈ વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વિશે પત્નીએ પોતાના ભાઈઓને જાણ કરી હતી. ત્યાર બાદ તેના ભાઈઓએ આ મામલે દખલગીરી કરી અને વિવાદ ઘટવાના બદલે વધી ગયો હતો.
પાંચમાં માળેથી ફેંકીને હત્યા કર્યાનો આક્ષેપ
મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, ભાવેશને થોડું દેવું થઈ ગયું હતું જેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો. આ ઝઘડા વિશે ભાવેશની પત્નીએ તેના ભાઈઓને વાત કરતા રોષે ભારાયેલા ઘરે આવ્યા અને સીધું જ ઝઘડવાનું શરૂ કરી દીધું. પહેલાં તેમણે ભાવેશને ઢોર માર માર્યો અને બાદમાં તેને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મૃતકની પત્ની અને સાળા સહિત અન્ય સંભવિત આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સાળાને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળ ભાવેશ અને તેની પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ હતો.



