ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા-2 ગામે બનેલી એક ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉભી ડુંગળીની પાકમાં પશુઓ છોડી દીધા હતા અને આ પગલાં પાછળનું કારણ સાંભળતાં દરેક જણ સહાનુભૂતિ અનુભવી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના બજાર ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યારે સતત પડેલા વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ બંને કારણોને કારણે નિરાશ થયેલા ખેડૂતે આખરે નિરાશામાં આવીને ખેતરમાં પશુઓને ચરવા દેવાનો નિર્ણય કર્યો હતો.
- ખેતીમાં કરેલો ખર્ચ પણ પુરો ન થાય
ખેડૂતના જણાવ્યા મુજબ, તેણે આશરે 8 થી 10 વિઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થવા લાગ્યો ત્યારે અચાનક પડેલા ભારે વરસાદને કારણે જમીન ભીની રહી અને કંદમાં સડાવો આવી ગયો.
ખેતરમાં જે ડુંગળી બચી રહી હતી તેને બજારમાં લઈ જતાં વેપારીઓએ એટલો ઓછો ભાવ આપ્યો કે ખેતીમાં કરેલો ખર્ચ પણ પુરો ન થાય. ખેડૂતે મોંઘા દરે બી, ખાતર, દવા અને મજૂરી માટે મોટી રકમ ખર્ચી હતી, પરંતુ ઉત્પાદનના ઘટાડા અને બજાર ભાવના ધરાશાયી થવાથી આખી મહેનત બરબાદ થઈ ગઈ.
- ખેડૂતોને સ્થિર આવક મળતી નથી
સ્થાનિક ખેડૂતો કહે છે કે તળાજા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને જમીનની ભીની સ્થિતિને કારણે ડુંગળી તેમજ અન્ય શાકભાજી પાકને ગંભીર અસર થઈ છે. અનેક ખેડૂતોના ખેતરમાં ડુંગળીના કંદ સડી ગયા છે, જેના કારણે તેમની આવકમાં મોટું નુકસાન થયું છે. ખાસ કરીને નાના અને મધ્યમ કિસાન માટે આ નુકસાન ગંભીર આર્થિક મુશ્કેલી ઊભી કરે છે.
ખેડૂતોની માગ છે કે સરકાર ડુંગળી જેવા મુખ્ય પાકને પણ ન્યૂનતમ સહાય કિંમત (MSP) હેઠળ લાવે. હાલમાં ડુંગળીના ભાવમાં સતત આવતાં ઉતાર-ચઢાવને કારણે ખેડૂતોને સ્થિર આવક મળતી નથી, જ્યારે ડુંગળી દેશના દરેક ઘરનું આવશ્યક અન્ન છે. ખેડૂતોનો તર્ક છે કે જ્યારે ઘઉં, ચોખા અને દાળ જેવા પાકને MSP મળે છે, ત્યારે ડુંગળી અને બટાકા જેવા મુખ્ય શાકભાજી પાકને પણ એ જ સુરક્ષા મળે તે જરૂરી છે.
- ખેતી વ્યવસાય ખરેખર ફાયદાકારક
રાજપરા ગામના ખેડૂતના આ પગલાંને કારણે વિસ્તારમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. અનેક ખેડૂતોએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ‘ખેતી કરતાં નુકસાન વધારે અને છોડતાં ફાયદો વધારે.’ આ શબ્દો ખેડૂતોની હાલત સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.
આ ઘટનાએ એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે શું આજના સમયમાં ખેતી વ્યવસાય ખરેખર ફાયદાકારક રહ્યો છે કે નહીં? સતત કુદરતી આપત્તિ, બજારની અસ્થિરતા અને સહાયના અભાવે ખેડૂતોની સ્થિતિ દિવસેને દિવસે નબળી પડી રહી છે. જો તંત્ર અને સરકાર સમયસર હસ્તક્ષેપ નહીં કરે, તો આવી નિરાશાજનક પરિસ્થિતિઓમાં ખેડૂતો પોતાની જ મહેનતનો ત્યાગ કરવા મજબૂર થઈ શકે છે.




Leave a Comment