નવી સીઝનની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા શુભમન ગિલે ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમ અંગે પોતાનો અંગત મત રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ નિયમને 2027 સુધી ચાલુ રાખવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેની સામે ગિલે અસંમતિ દર્શાવી છે. ગિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “વ્યક્તિગત રીતે મને લાગે છે કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હોવો જોઈએ નહીં. ક્રિકેટ મૂળભૂત રીતે 11 ખેલાડીઓની રમત છે.”
‘ખેલાડીઓની વાસ્તવિક કુશળતા પર અસર પડે છે’
તેણે વધુમાં સમજાવ્યું કે મેચમાં એક વધારાનો બેટ્સમેન કે બોલર ઉમેરવાથી ખેલાડીઓની વાસ્તવિક કુશળતા પર અસર પડે છે. જ્યારે ટીમમાં એક વધારાનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે, ત્યારે ઓલરાઉન્ડર્સની ભૂમિકા ઘટે છે અને રમતનું સંતુલન બદલાય છે. ગિલના મતે, મેચ જીતવા માટે જે ખાસ કૌશલ્ય અને રણનીતિની જરૂર હોય છે, આ નિયમ તેને ક્યાંક ને ક્યાંક નબળો પાડે છે.
પિચ અને સ્કોરિંગ અંગે આશિષ નેહરાનો મત
ટીમના હેડ કોચ અને પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ પિચની પરિસ્થિતિઓ અંગે વાત કરી હતી. નેહરાએ સ્વીકાર્યું હતું કે એક કોચ તરીકે તેઓ પોતાની રણનીતિ મુજબની પિચ તૈયાર જોવા માંગતા હોય છે, પરંતુ વ્યવહારિક રીતે દરેક વખતે એવું શક્ય બનતું નથી. પિચ ગમે તેવી હોય, ટીમે તે પરિસ્થિતિમાં અનુકૂલન સાધવું પડે છે.
‘ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ ખાસ સિદ્ધિ પાછળ ભાગવાનો નથી’
ગિલે પણ કોચના સૂર પુરાવતા જણાવ્યું કે, ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર 300 કે 350 રન બનાવવા જેવી કોઈ ખાસ સિદ્ધિ પાછળ ભાગવાનો નથી. અમારો લક્ષ્ય એક એવી ટીમ બનવાનો છે જે સતત સારું પ્રદર્શન કરે અને પિચની ક્ષમતા મુજબનો ‘પાર સ્કોર’ ઉભો કરે. ગિલે ભાર મૂક્યો હતો કે સામેની ટીમ કરતા વધુ રન બનાવવા એ જ પ્રાથમિકતા છે, પછી ભલે તે લો-સ્કોરિંગ મેચ હોય કે હાઈ-સ્કોરિંગ.
વ્યક્તિગત રેકોર્ડ કરતા ટીમની જીત મહત્વની
પોતાના ફોર્મ અને લક્ષ્યાંકો વિશે વાત કરતા શુભમન ગિલે જણાવ્યું કે, તે વ્યક્તિગત સિદ્ધિઓ કે ઓરેન્જ કેપ કરતા ટીમની સફળતાને વધુ મહત્વ આપે છે. એક કેપ્ટન તરીકે તેની જવાબદારી ટીમને વિજયી બનાવવાની છે. ગુજરાત ટાઇટન્સ આ વખતે નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે અને દરેક પરિસ્થિતિમાં લડાયક પ્રદર્શન કરવા માટે તૈયાર છે.


Leave a Comment