ડુંગળીના ભાવ ખૂબ ઝડપથી વધ્યા છે, ત્યાં ઝડપથી જથ્થો પહોંચાડવા માટે સરકારે ભારતીય રેલવેની મદદ લીધી છે. મહારાષ્ટ્રના નાસિક સ્થિત સરકારી બફર સ્ટોકમાંથી ખાસ માલગાડીઓ એટલે કે ‘કાંદા એક્સપ્રેસ’ દ્વારા ડુંગળીનો જથ્થો વિવિધ રાજ્યોમાં રવાના કરવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક તબક્કામાં આ ટ્રેન દ્વારા ચેન્નાઈ, મદુરાઈ, કોચિન અને ગુવાહાટી ખાતે પુરવઠો મોકલાયો છે, જ્યારે 800 મેટ્રિક ટન ડુંગળી લઈને બીજી કાંદા એક્સપ્રેસ ટૂંક સમયમાં દિલ્હી અને ઉત્તર ભારતના શહેરોમાં પહોંચશે.
તમારા ઘર સુધી કેવી રીતે પહોંચશે સસ્તી ડુંગળી?
ગ્રાહકો સુધી સરળતાથી અને સસ્તા દરે ડુંગળી પહોંચાડવા માટે સરકારે પ્રમુખ સરકારી અને સહકારી સંસ્થાઓને કામગીરી સોંપી છે.
આ ₹35 પ્રતિ કિલો વાળી ડુંગળી મુખ્યત્વે NAFED અને NCCF ની મોબાઈલ વેન દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડાશે. આ ઉપરાંત, દેશભરમાં આવેલા ‘ભારત બ્રાન્ડ’ના અધિકૃત આઉટલેટ્સ તેમજ કેન્દ્રીય ભંડાર પરથી પણ સામાન્ય નાગરિકો આ રાહતદરની ડુંગળી ખરીદી શકશે.
કૃત્રિમ અછત અટકાવવા માસ્ટરપ્લાન
ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ડુંગળીનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. બજારમાં સીધો અને સસ્તો જથ્થો ઉપલબ્ધ કરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓ દ્વારા થતી સંગ્રહખોરી અને કાળાબજારીને અટકાવવાનો છે.
સરકારના આ સમયસૂચક પગલાથી તહેવારોના દિવસોમાં ડુંગળીના કૃત્રિમ ભાવવધારા પર કડક નિયંત્રણ આવશે અને સામાન્ય જનતાના ખિસ્સા પરનો બોજ હળવો થશે.




Leave a Comment