– 19 બેઠક એનડીએ, પાંચ કોંગ્રેસના ફાળે
– કોંગ્રેસ તરફથી ખડગે, પવન ખેરા સાંસદ બન્યા, ભાજપે પુનિયાને રાજ્યસભા મોકલ્યા
નવી દિલ્હી : રાજ્યસભાની ૨૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, જોકે તેમાંથી ૨૪ બેઠકો પર કોઇ પણ પ્રકારના વિરોધ વગર જ ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવાયા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા, ભાજપના રજનીશ અગરવાલ, સતિષ પુનિયા વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્યસભાની જે ૨૪ બેઠકો પર ચૂંટણી વગર જ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તેમાં ૧૯ બેઠકો એનડીએના જ્યારે પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે. હવે ૧૮મી તારીખે બાકી રહેલી ત્રણ બેઠકો પર મતદાન થશે. આ ત્રણ બેઠકોમાં બે ઝારખંડની અને એક મિઝોરમની બેઠકનો સમાવેશ થાય છે.
ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન પાસે ૫૬ ધારાસભ્યો છે તેથી પ્રત્યેક ઉમેદવારે ૨૮ મતોની જરૂર પડશે, ભાજપ પાસે ૨૧ ધારાસભ્યો છે જેમાં જદયુ અને એલજેપી, ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ્સ યુનિયન વગેરેના એક એક ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. તેવી જ રીતે મિઝોરમમાં એક માત્ર બેઠક પર મતદાન થશે.
કર્ણાટકમાંથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે, એઆઇસીસી જનરલ સેક્રેટરી મંસૂર અલી ખાન, પવન ખેરા વિરોધ વગર ચંૂટાયા હતા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેવી જ રીતે ભાજપના એમ નાગરાજા પણ વિરોધ વગર વિજેતા જાહેર કરાયા હતા. ગુજરાતમાંથી તમામ ભાજપના, આંધ્ર પ્રદેશમાંથી એનડીએના ચાર, ટીડીપીના ત્રણ અને એક જન સેનાના સાંસદ બન્યા હતા, રાજસ્થાનમાં પણ ભાજપના સતિષ પુનિયા, અલ્કા ગુર્જર, કોંગ્રેસના નીરજ ડાંગી સાંસદ તરીકે ચૂંટાયા હતા.


Leave a Comment