Air India Plane Crash : અમદાવાદમાં ગત વર્ષે 12 જૂને એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની પુત્રી રાધિકા મિશ્રાએ ગંભીર આક્ષેપો કર્યા બાદ એર ઈન્ડિયાએ જવાબ આપ્યો આપ્યો છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે, તેણે AI-171 પ્લેન ક્રેશના પીડિત પરિવારો પર અંતિમ વળતર સ્વીકારવા માટે કોઈ દબાણ કરાયું નથી.
રાધિકા મિશ્રાએ શું આક્ષેપ કર્યો?
રાધિકા મિશ્રાને આપેલા જવાબમાં એરલાઈને જણાવ્યું કે, પરિવારો અંતિમ તપાસ અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. રાધિકાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને લખેલા ઈ-મેઈલમાં આરોપ લગાવ્યો હતો કે, એર ઇન્ડિયા પીડિત પરિવારોને કેસ ન કરવાની શરતે જ અંતિમ વળતરની ઓફર કરી રહી છે.
કોઈપણ પરિવાર પર વળતર માટે દબાણ કરાયું નથી : એર ઈન્ડિયા
એર ઇન્ડિયાએ રાધિકા મિશ્રાને આપેલા એક ઔપચારિક જવાબમાં જણાવ્યું કે, કોઈપણ મૃતકના પરિવાર પર ચોક્કસ સમયમર્યાદામાં અંતિમ વળતર પેકેજ લેવા માટે ‘કોઈ સમયમર્યાદા કે દબાણ’ કરાયું નથી. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અંતિમ તપાસ અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોવા માટે સ્વતંત્ર છે. એરલાઈને પીડિતોના પરિવારો પર સત્તાવાર તપાસ અહેવાલ આવે તે પહેલાં અંતિમ વળતર પેકેજ સ્વીકારવા માટે કોઈ દબાણ કર્યું નથી.
‘AAIB દ્વારા દુર્ઘટનાની સ્વતંત્ર તપાસ થઈ રહી છે’
મીડિયા રિપોર્ટ મુજબ, જાનમાલના નુકસાન પર સંવેદના વ્યક્ત કરતા એરલાઈને તપાસની સમયમર્યાદા અંગે જણાવ્યું છે કે, આ તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવી રહી છે. અંતિમ તપાસ અહેવાલ ક્યારે સામે આવશે, તેની માહિતી એર ઇન્ડિયા પાસે નથી. એરલાઇનના જણાવ્યા અનુસાર, અંતિમ વળતરની પ્રક્રિયા ઓક્ટોબર 2025માં શરૂ કરવામાં આવી હતી.
મૃતકોના પરિવારોને રૂ.1-1 કરોડની સહાય આપી દેવાઈ
નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે, પરિવારો પર તાત્કાલિક અંતિમ વળતર પ્રક્રિયામાં સામેલ થવા અથવા તપાસ અહેવાલની રાહ જોવામાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું કોઈ દબાણ નથી. એર ઇન્ડિયાએ તેની માલિકીની કંપની ટાટા જૂથ દ્વારા આપવામાં આવી રહેલી મદદ વિશે માહિતી આપી છે કે, ટાટા જૂથના AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લગભગ તમામ લોકોના પરિવારોને 1-1 કરોડ રૂપિયાની સહાય આપી દીધી છે. તેમનું એવું પણ કહેવું છે કે, આ સહાય ઔપચારિક વળતરથી તદ્દન અલગ છે.
કેસ નહીં કરવાની શરતે વળતરની ઓફર કરવાનો આરોપ
મીડિયા રિપોર્ટ મુજબ, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણીની પુત્રી રાધિકા મિશ્રાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને મોકલેલા ઈ-મેઇલમાં આરોપ લગાવ્યો છે કે, એર ઇન્ડિયા પીડિત પરિવારોને અંતિમ વળતરની ઓફર એ શરતે કરી રહી છે કે, તેઓ એરલાઇન અને તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ સામે ભવિષ્યમાં ક્યારેય પણ કેસ કરવાનો પોતાનો અધિકાર હંમેશા માટે છોડી દે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થયેલા આ AI-171 પ્લેન ક્રેશમાં વિજય રૂપાણી સહિત 242 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.


Leave a Comment