KC Venugopal Refutes TMC-Congress Merger Claims: કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે ગુરુવારે મમતા બેનરજીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયના અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને તેમણે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે આ ચર્ચાઓને સંપૂર્ણપણે અફવા અને પાયાવિહોણી ગણાવી છે.
વેણુગોપાલે જણાવ્યું કહ્યું કે, ‘આ માત્ર અફવાઓ છે. ગઈકાલે અમારા મીડિયા પ્રભારીએ પણ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. આ વાતો બિલકુલ પાયાવિહોણી છે. એ સત્ય છે કે મમતા બેનરજી અને અભિષેક બેનરજીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, પરંતુ તે માત્ર એક સામાન્ય શિષ્ટાચાર અને નિયમિત ચર્ચા હતી.’
‘આ બેઠક માત્ર I.N.D.I.A. ગઠબંધનની ચર્ચાનો ભાગ
કે.સી. વેણુગોપાલે આગળ કહ્યું કે, ‘આ બેઠક માત્ર I.N.D.I.A. ગઠબંધનની ચર્ચાનો જ એક ભાગ હતી, કારણ કે આજે દરેક વ્યક્તિ I.N.D.I.A. ગઠબંધનને મજબૂત બનાવવા ઈચ્છે છે. આ જનવિરોધી અને અલોકતાંત્રિક સરકાર સામેની લડાઈને દરેક વ્યક્તિ ધાર આપવા માગે છે. અમે આ માર્ગ પર સાથે મળીને આગળ વધીશું. અમારી વાતચીતનો એકમાત્ર મુદ્દો આ જ હતો, આ સિવાય અન્ય કોઈ ચર્ચા નથી થઈ.’
વિલયની અટકળોએ કેમ જોર પકડ્યું?
વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં ફરીથી વિલયની અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે TMC પ્રમુખ મમતા બેનરજીએ મંગળવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે એકલા મુલાકાત કરી હતી. તેના બરાબર બીજા જ દિવસે બુધવારે TMC સાંસદ અભિષેક બેનરજીએ પણ નવી દિલ્હીમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેક-ટુ-બેક મુલાકાતો બાદ રાજકીય ગલિયારાઓમાં વિલયની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
જોકે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMC વિધાનસભ્ય પક્ષના નવા પરંતુ બહુમતી જૂથના નેતા અને ગૃહમાં સત્તાવાર વિપક્ષી નેતા ઋતબ્રત બેનરજીએ પણ કોંગ્રેસ અને TMCના વિલયની કોઈપણ શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
કોંગ્રેસનું 3 મહિનાનું રાષ્ટ્રવ્યાપી આંદોલન
આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ આગામી ત્રણ મહિના માટે મોટા રાષ્ટ્રીય સ્તરના અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાન હેઠળ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરશે. કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, પરીક્ષા કૌભાંડો, સામાજિક અસમાનતા અને ખાડી સંઘર્ષને ધ્યાનમાં રાખીને નબળી રાજદ્વારી નીતિ જેવા મુદ્દે સરકારને ઘેરશે. વેણુગોપાલે કહ્યું કે, ‘અમે આગામી ત્રણ મહિના માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન શરૂ કરી રહ્યા છીએ. કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકરે મેદાનમાં અને રસ્તા પર હોવું જોઈએ.’
મીનાક્ષી નટરાજનના નામાંકન પર સ્પષ્ટતા
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાનું નામાંકન રદ થવાના મુદ્દે પણ વેણુગોપાલે સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે, ‘નામાંકન રદ થવાનું કારણ માત્ર એટલું જ હતું કે તેઓ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલી એક નોટિસનો ખુલાસો નહોતા કરી શક્યા. તેમની સામે કોઈ ફોજદારી કેસ નહોતો અને આજે પણ નથી. તેમની સામે કોઈ FIR નથી નોંધાયેલી, કોઈ ચાર્જશીટ નથી અને કોઈ આરોપો પણ નક્કી થયા નથી. માત્ર આ એક કારણનો હવાલો આપીને મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરી દેવામાં આવ્યું હતું.’


Leave a Comment