Indian Navy Nuclear Submarine Satellite Image : સમુદ્રમાં ભારતની પરમાણુ ક્ષમતાનો લઈને એક દુર્લભ તસવીર સામે આવી છે. IISS(international institute for strategic studies)એ ભારતની અણુ સબમરીનની તસવીરો જાહેર કરી છે. આમાં ભારતીય નૌસેનાની તમામ ચાર અરિહંત ક્લાસ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઇલ સબમરીનો એક સાથે વિશાખાપટ્ટનમના બંદર પર દેખાઈ રહી છે. આ તસવીરો સમુદ્રમાં ભારતની વધતી સુરક્ષાને સ્પષ્ટ દેખાડી રહી છે.
એક સાથે 4 સમરીન ડૉક કરાયેલી દેખાઈ
આ તસવીરોમાં INS અરિહંત (S2), INS અરિઘાત (S3), INS અરિદમન (S4) અને ચોથી સબમરીન S4 (જેનું નામ INS અરિસૂદન કરાશે) એક સાથે લાંગરેલી કરાયેલી દેખાઈ રહી છે. 6000થી 7000 ટનની આ તમામ સબમરીનો K15 સાગરિકા અને K4 બેલેસ્ટિક મિસાઇલો લઈ જવા માટે સક્ષમ છે.

પ્રથમવાર જોવા મળ્યો દુર્લભ નજારો
તમામ સબમરીનો પોર્ટ પર એક સાથે ઉભેલી હોવાનો દુર્લભ નજારો પ્રથમવાર જોવા મળ્યો છે. જોકે આનાથી એવો પણ સંકેત મળે છે કે ભારત હજુ સુધી ચોવીસે કલાક દરિયાઈ દેખરેખ (એટલે કે દરિયામાં હંમેશા ઓછામાં ઓછી એક પરમાણુ સબમરીન તૈનાત રાખવાના) સંપૂર્ણ ચક્રનો અમલ કરી શક્યું નથી, પરંતુ સબમરીનના કાફલાનો વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે.

દુશ્મનો માટે સબમરીનો શોધવી મુશ્કેલ
તમામ સબમરીનો ભારતની ‘ન્યૂક્લિયર ટ્રાયડ’ સૌથી મહત્ત્વની અને સુરક્ષિત ભાગ માનવામાં આવે છે. દુશ્મનો માટે આ સબમરીનો શોધવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. આમાં હંમેશા બેલેસ્ટિક મિસાઇલો તહેનાત હોય છે, જે હજારો કિલોમીટર દૂર દુશ્મનને સરળતાથી ટાર્ગેટ કરી શકે છે.
INS અરિહંતે 2018માં પ્રથમ પેટ્રોલિંગ પૂરું કર્યું. હવે ભારતીય નૌકાદળમાં જેમ-જેમ નવી સબમરીનો આવી રહી છે, તેમ ભારતની બીજીવાર હુમલો કરવાની વિશ્વનીયતા વધી રહી છે. જ્યારે ચારેય સબમરીનો સંપૂર્ણ ઓપરેશનલ થઈ જશે, તો ઓછમાં ઓછી એક સબમરીન દરિયામાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવી શકે છે.

અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ સબમરીન બેઝ
વિશાખાપટ્ટનમનું પોર્ટ હવે ખૂબ વ્યસ્ત થઈ ગયું છે. સુરક્ષા અને ગોપનીયતા વધારવા માટે 50 કિલોમીટર દક્ષિણમાં INS વર્ષા નામનું અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ સબમરીન બેઝ બનાવી રહ્યું છે. સેટેલાઇટ ઇમેજમાં ત્યાં બે મોટી સુરંગ દેખાઈ રહી છે. આ સુરંગો પાણીની અંદર સુધી જાય છે. આ રણનીતિથી સબમરીનોને દુશ્મનની નજર અને હુમલાથી બચાવવામાં ખૂબ કામ આવશે.

ચારેય સબમરીનની ખાસિયત
INS અરિહંત : ભારતે 1980માં ઍડ્વાન્સ ટૅક્નોલૉજી પ્રોજેક્ટ(એટીવી)ની શરૂઆત કરી હતી અને તેનો પ્રથમ પ્રોજેક્ટ અરિહંત સબમરીન હતી. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા 2009માં આ સબમરીન પાણીમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી. જે પછી, ઑગસ્ટ 2016માં આ સબમરીન કાર્યરત કરવામાં આવી હતી. તેનું વજન 6000 ટન છે. 15 ઑક્ટોબર-2022માં આઇએનએસ અરિહંતમાંથી બેલાસ્ટિક મિસાઇલ છોડવાનું સફળ પરીક્ષણ થયું હતું. બંગાળની ખાડીમાં રખાયેલું નિશાન અરિહંતમાંથી છોડેલી બેલાસ્ટિક મિસાઇલે આબાદ સાધ્યું હતું. પરીક્ષણ દરમિયાન નિર્ધારેલા બધા જ માપદંડોને પૂરા કરાયા હતા.પરમાણુ સજ્જ અરિહંત સબમરીનમાંથી હવાઈ, સમુદ્રી અને ધરતી પર નિશાન સાધી શકાય છે.
INS અરિઘાત : આ સબમરીન ‘INS અરિહંત’નું અપગ્રેડેડ વર્ઝન છે, જેને વિશાખાપટ્ટનમ ખાતે ‘એડવાન્સ ટેક્નોલોજી વેસલ’ (ATV) પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. તેનું વજન પણ 6000 ટન છે. તે 50 દિવસથી વધુ પાણીની અંદર રહી શકે છે. પાણીની અંદર તેની ઝડપ 24 નોટિકલ માઇલ પ્રતિ કલાક છે. અરિઘાત પરમાણુ મિસાઇલ સબમરીન અરિહંત કરતાં પણ વધુ ઘાતક છે. તેની બેલેસ્ટિક મિસાઇલની રેન્જ 3500 કિલોમીટર સુધીની છે. આ ઘાતક સબમરીન મહિનાઓ સુધી પાણીની અંદર રહી શકે છે. તે દરિયાની સપાટી પર 22-28 કિલોમીટર પ્રતિ કલાક અને સમુદ્રની ઊંડાઈમાં 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે.
INS અરિદમન : આ સબમરીન પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે. INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતાં અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતાં આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.
INS અરિસૂદન : ભારતીય નૌકાદળની ચોથી અને અંતિમ અરિહંત-ક્લાસની ન્યુક્લિયર-સંચાલિત (પરમાણુ શક્તિથી ચાલતી) બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે. તે વિશાખાપટ્ટનમ ખાતેના શિપ બિલ્ડિંગ સેન્ટર(Ship Building Centre)માં બનાવવામાં આવી છે. આ સબમરીન ઉન્નત USHUS સોનાર (USHUS sonar), પંચેન્દ્રિય ઇન્ટિગ્રેટર સબમરીન સોનાર અને અદ્યતન અંડરવોટર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. તે પાણીની અંદર લાંબા સમય સુધી સક્ષમ રહેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

બે પ્રકારની પરમાણુ સબમરીન હોય છે
પરમાણુ સબમરીન બે પ્રકારની હોય છે. ન્યુક્લિયર એટેક સબમરીન (SSN) અને ન્યુક્લિયર મિસાઇલ સબમરીન (SSBN). ન્યુક્લિયર મિસાઇલ સબમરીન માત્ર ન્યુક્લિયર હથિયારોનું વહન કરે છે. આ સબમરીન દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી નથી. ન્યુક્લિયર એટેક સબમરીનમાં પરમાણુ હથિયારો હોતા નથી. આ સામાન્ય સબમરીનની જેમ હોય છે પરંતુ તેને ઊર્જા ન્યુક્લિયર પાવરમાંથી મળે છે. ન્યુક્લિયર સબમરીન સામાન્ય સબમરીનની તુલનામાં ઘણી શક્તિશાળી હોય છે. આ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.



Leave a Comment