Paper Leak News : સંઘ લોક સેવા આયોગ (UPSC) પ્રિલિમ્સ 2026ની પરીક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક થયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. NSUI ના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ જાખડે દાવો કર્યો હતો કે પ્રિલિમ્સ પરીક્ષામાં પૂછાયેલા 100 સવાલોમાંથી 82 સવાલો એક ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના સ્ટડી મટીરિયલ સાથે બેઠેબેઠા મેચ થાય છે. જો કે, કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ મામલે ફેક્ટ ચેક કરીને વિનોદ જાખડના આરોપો અને દાવાઓને 100 ટકા નકલી અને પાયાવિહોણા ગણાવ્યા છે.
પેપર નિષ્ણાતો તૈયાર કરે છે : UPSC
પેપર લીકના આરોપો ફગાવતા પીઆઈબી દ્વારા UPSCનું એક અગાઉનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ સ્પષ્ટતા અનુસાર, પરીક્ષાના પ્રશ્નપત્રો દેશભરના વિષય નિષ્ણાતો દ્વારા ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવે છે. આ એક્સપર્ટ્સ પરીક્ષા પ્રક્રિયાના ઉદ્દેશ્યો અને નિયમોને ધ્યાનમાં રાખીને જ પેપર સેટ કરે છે, જેથી વિવિધ શૈક્ષણિક, સામાજિક અને પ્રાદેશિક પૃષ્ઠભૂમિ ધરાવતા તમામ ઉમેદવારોને પરીક્ષામાં સમાન તક મળી શકે.
જે કોચિંગ ક્લાસ પર આરોપ મુકાયો, તેમણે શું કહ્યું?
બીજી તરફ, આ વિવાદમાં સામેલ કરાયેલી ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ‘અનંતમ IAS’ દ્વારા પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને પેપર લીકના તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. ઈન્સ્ટિટ્યૂટે સ્પષ્ટતા કરી છે કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ અને પ્રશ્નપત્ર જાહેર થઈ ગયા પછી જ તેમણે આન્સર-કી બહાર પાડી હતી.
આ બાબતે ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે આ એક પ્રકારની SEO ટ્રીક હોઈ શકે છે. એક્સપર્ટોએ આશંકા વ્યક્ત કરી કે, પરીક્ષા પૂરી થયા બાદ અને પ્રશ્નો સામે આવ્યા પછી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટે પોતાના ઓનલાઈન સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરીને આ સવાલો ઉમેરી દીધા હોઈ શકે છે. આ ફેરફાર ઓનલાઈન બેકડેટેડ દેખાતો હોવાના કારણે પેપર લીક થયું હોવાનો મોટો ભ્રમ ઊભો થયો છે.


Leave a Comment