– મંદિરના દાનમાં ચોરી નહીં લૂંટ થઈ : નૃપેન્દ્ર મિશ્રાનો દાવો
– ટ્રસ્ટમાં અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ભૂમિકા શંકાસ્પદ, મંદિર નિર્માણ પહેલાં જમીન ખરીદીની પણ તપાસ કરાઈ
– ચંપત રાયને આપેલી રૂ. 1.5 કરોડની 200 કિલો ચાંદીની 200 ઈંટોની રસીદ પણ અપાઈ નથી : સિંધી સમાજ
– મંદિર ટ્રસ્ટમાં મોટી કાર્યવાહી અને વ્યવસ્થામાં પણ મોટા ફેરફારના નૃપેન્દ્ર મિશ્રાના સંકેત
અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરને મળતા દાનમાં કથિત ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ અને મંદિર સાથે સંકળાયેલા લોકોને અયોધ્યા નહીં છોડવાનો નિર્દેશ આપ્યો છે. બીજી બાજુ રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ દાનમાં થયેલી ચોરીને લૂંટ ગણાવી હતી. તેમણે કહ્યું માત્ર ૪૫ દિવસના વીડિયો રેકોર્ડિંગ મળે છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સિંધી સમાજે દાવો કર્યો કે તેમણે 200 કિલો ચાંદીનું દાન કર્યું હતું, પરંતુ ચંપત રાયે તેમને રસીદ આપી નથી.
અયોધ્યાના રામ મંદિરને મળતા દાનમાં ચોરીની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની એસઆઈટીએ રવિવારે લખનઉ રવાના થતા પહેલા મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓને અયોધ્યા નહીં છોડવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે મંદિર સૂત્રો મુજબ તપાસ સાથે સંકળાયેલા દૈનિક રિપોર્ટમાં ટ્રસ્ટના અધિકારીઓ અને તપાસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછની માહિતી સામેલ છે. આ રિપોર્ટને ડિજિટલ રૂપે સુરક્ષિત રખાયો છે. આ રિપોર્ટને અંતિમરૂપ આપી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવશે.
સૂત્રો મુજબ એસઆઈટીની તપાસ માત્ર કથિત રીતે દાનના ગબન સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં મંદિર ટ્રસ્ટ તરફથી અલગ અલગ તબક્કામાં જમીનની ખરીદી અને મંદિર માટે નિર્માણ સામગ્રીની ખરીદીનો પણ સમાવેશ થાય છે. સૂત્રો મુજબ ટ્રસ્ટે બજાર ભાવથી લગભગ ૫૦૦થી ૮૦૦ ટકા વધુ કિંમતે અંદાજે ૭૧ એકર જમીન ખરીદી છે.
સૂત્રો મુજબ પ્રારંભિક તપાસમાં ભગવાન રામને ચઢાવાયેલા સોના, ચાંદીના દાગીના, હીરા અને અન્ય કિંમતી પથ્થરોના રેકોર્ડમાં કથિત ગડબડ સામે આવી છે. ટ્રસ્ટના પદાધિકારી સોના, ચાંદી અને અન્ય આભૂષણો તથા કિંમતી પથ્થરો સાથે સંબંધિત રેકોર્ડ પર એસઆઈટીને સંતોષજનક જવાબ આપી શક્યા નથી.
આ સિવાય એસઆઈટીને દાનમાં ચોરીના પુરાવા મળ્યા છે. એસઆઈટીની પ્રારંભિક તપાસ પૂરી થઈ ગઈ છે. ટ્રસ્ટમાં અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ભૂમિકા તપાસના દાયરામાં છે. એસઆઈટીને સીસીટીવી ફૂટેજમાંથી રકમ ઘટાડાઈ હોવાના પુરાવા મળ્યા છે. કેટલાક સીસીટીવી ફૂટેજ ડીલીટ કરાયા હોવાની પણ આશંકા છે.
બીજીબાજુ રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ દાનમાં થેયલી ચોરીને લૂંટ ગણાવી હતી. તેમના આ નિવેદનથી મંદિર ટ્રસ્ટમાં મોટી કાર્યવાહી અને મંદિરની વ્યવસ્થામાં પરિવર્તનના સંકેત મળે છે. નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો કે સીસીટીવી ફૂટેજમાં એવા પુરાવા મળ્યા છે, જેનાથી ચોરીની પુષ્ટી થાય છે. વધુમાં માત્ર ૪૫ દિવસના જ રેકોર્ડિંગ મળ્યા છે. તે પહેલાના ફૂટેજ મળ્યા નથી.
મંદિરને મળતા દાનમાં ચોરીના અહેવાલો વચ્ચે સિંધી સમાજે તેમણે દાનમાં આપેલી ૨૦૦ કિલો ચાંદીની ઈંટો ક્યાં ગઈ તેવો સવાલ કર્યો છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. રાજૂ મનવાનીએ કહ્યું, તેમણે ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અયોધ્યામાં ચંપત રાયને રૂ. ૧.૫ કરોડની કિંમતની ૨૦૦ કિલો ચાંદીની ઈટો દાનમાં આપી હતી. તેમને અત્યાર સુધી આ અંગે કોઈ રસીદ અપાઈ નથી. આ ઈંટોનો ઉપયોગ ક્યાં કરાયો તેની માહિતી પણ અમને અપાઈ નથી.


Leave a Comment