વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને ભીલાડવાસીઓ માટે લાંબા સમયથી પ્રતિક્ષિત એવા રેલવે અંડરપાસનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા અંડરપાસના નિર્માણથી સ્થાનિક રહીશોની વર્ષો જૂની ટ્રાફિકની વિકટ સમસ્યાનો અંત આવ્યો છે. અત્યાર સુધી રેલવે લાઈન વચ્ચે આવતી હોવાથી લોકોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળી છે.
આ અંડરપાસનું ઉદ્ઘાટન વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને ભીલાડ-ઉમરગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણના આ કાર્યક્રમમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભીલાડમાં રેલવે લાઈન પસાર થતી હોવાથી અગાઉના અંડરપાસમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. શાળાએ જતા બાળકો, નોકરી પર જતા કર્મચારીઓ અને અન્ય રાહદારીઓને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડતું હતું. આ ઉપરાંત નેશનલ હાઈવેથી ભીલાડ કે ઉમરગામ જવા માટે લોકોને કિલોમીટરો સુધી લાંબો ચકરાવો લેવો પડતો હતો, જે સમય અને ઇંધણનો બગાડ કરતો હતો.
નવા અંડરપાસના આરંભ સાથે જ લોકોને આ તમામ મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળી છે. હવે વાહનચાલકો કોઈપણ અવરોધ વગર એક તરફથી બીજી તરફ સરળતાથી અવરજવર કરી શકશે. ટ્રાફિકની સમસ્યા હલ થવાથી લોકોના સમયની બચત થશે અને પરિવહન વધુ ઝડપી બનશે.
આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ આ વિસ્તારના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે, ઉમરગામ તાલુકા અને સમગ્ર વલસાડ જિલ્લાના બાકી રહેલા રેલવેના અન્ય પ્રશ્નોને પણ અગ્રતા આપીને તેને વહેલી તકે ઉકેલવા માટે સરકાર કટિબદ્ધ છે. આ અંડરપાસ ભીલાડના વિકાસમાં એક નવા સીમાચિહ્ન સમાન બની રહેશે.
Source link
મારું ગુજરાત
ભીલાડને મળી મોટી ભેટ: સાંસદ ધવલ પટેલે રેલવે અંડરપાસનું કર્યું ઉદ્દઘાટન, ટ્રાફિકની સમસ્યાનો અંત


Leave a Comment