લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટી | Twisha Sharma Case Ex Miss Pune Dies Mysteriously in Bhopal Husband Absconding SIT Probes

by

Thenewsdk

Updated: 20-05-2026, 04.28 PM

Follow us:

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટી | Twisha Sharma Case Ex Miss Pune Dies Mysteriously in Bhopal Husband Absconding SIT Probes



Twisha Sharma Case: ગ્લેમરની દુનિયા, મિસ પુણેનો તાજ, તેલુગુ ફિલ્મમાં અભિનય, MBAની ડિગ્રી અને હસતો ચહેરો… મોડેલિંગથી લઈને કોર્પોરેટ જગતમાં આગવી ઓળખ ઊભી કરનાર ટ્વિશા શર્માની જિંદગી બહારથી જેટલી આકર્ષક દેખાતી હતી, અંદરથી તેટલી જ દર્દનાક વળાંક તરફ આગળ વધી રહી હતી. લગ્નના ગણતરીના મહિનાઓમાં જ એક હોનહાર યુવતીનું ભોપાલમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું. હાઈ પ્રોફાઈલ સાસરિયા, વોટ્સએપ ચેટ્સ અને વિરોધાભાસી નિવેદનો વચ્ચે ઘેરાયેલો ‘ટ્વિશા શર્મા મૃત્યુ કેસ’ આજે આખા દેશમાં ચર્ચાનો વિષય છે. ટ્વિશાનો મૃતદેહ એણે ‘જિમ્નાસ્ટિક બેલ્ટ’થી ફાંસો ખાધો હોય એવી રીતે લટકેલી હાલતમાં મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લિગેચર ટેસ્ટના તારણો આ મૃત્યુને આત્મહત્યા સાબિત કરે છે કે પછી સુનિયોજિત હત્યા?

ટ્વિશા શર્મા કોણ હતી અને તેની સાથે શું થયું હતું? 

ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી ટ્વિશા શર્મા ઉચ્ચ શિક્ષિત અને બહુમુખી પ્રતિભા ધરાવતી યુવતી હતી. તેની પાસે MBAની ડિગ્રી હતી. માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે દિલ્હીમાં કામ કર્યું હતું. આ ઉપરાંત ગ્લેમર જગત સાથે પણ જોડાયેલી હતી. તેણે ‘મિસ પુણે’નો તાજ જીત્યો હતો અને એક તેલુગુ ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. તે યોગ ટ્રેનર હોવાની સાથે વિપશ્યનાનો પણ અભ્યાસ કરતી હતી.

વર્ષ 2024માં એક ડેટિંગ એપ દ્વારા તેની મુલાકાત ભોપાલના વકીલ સમર્થ સિંહ સાથે થઈ હતી. સમર્થ સિંહ ભોપાલના પૂર્વ સેશન્સ જજ ગિરીબાલા સિંહના પુત્ર છે. લાંબા સમયના પરિચય બાદ ડિસેમ્બર 2025માં ટ્વિશા અને સમર્થના લગ્ન થયા. લગ્ન પછી તેઓ ભોપાલમાં રહેતા હતા. 

12 મેના રોજ 33 વર્ષીય ટ્વિશા ભોપાલના સાસરાના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી. કથિત રીતે રૂમની છત પર પાઇપ સાથે બાંધેલા એક ‘જિમ્નાસ્ટિક બેલ્ટ’ વડે ટ્વિશાએ ફાંસો ખાધો હતો. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નહોતી.

સીસીટીવી ફૂટેજમાં શું જોવા મળ્યું?

આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટ્વિશાને ટેરેસ (છત) તરફ જતી જોઈ શકાય છે. થોડા સમય પછી, તેનો પતિ સમર્થ સિંહ અને અન્ય બે વ્યક્તિ ટ્વિશાના મૃતદેહને સીડી પરથી નીચે લાવતા જોવા મળે છે. ફૂટેજમાં એવું પણ દેખાય છે કે સીડી પર જ ટ્વિશાને સીપીઆર અપાઈ રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

લિગેચર ટેસ્ટ રિપોર્ટમાં શું સામે આવ્યું? 

ટ્વિશાના લિગેચર ટેસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટતા કરાઈ છે કે,  તેના ગળા પરના નિશાન જિમ્નાસ્ટિક બેલ્ટના કારણે જ હતા. આ તારણો પ્રાથમિક નજરે આત્મહત્યા તરફ ઈશારો કરે છે. મૃત વ્યક્તિએ ફાંસો ખાધો હતો કે પછી એનું ગળું દબાવાયું હતું, એ જાણવા માટે આ ટેસ્ટ કરાતો હોય છે. લિગેચર ટેસ્ટ પોસ્ટમોર્ટમ પ્રક્રિયાનો જ એક ભાગ ગણાય છે.

પોલીસ તપાસમાં મોટી બેદરકારી પણ દેખાઈ 

જો કે, આ કેસની પોલીસ તપાસમાં એક મોટી ખામી સામે આવી છે. ટ્વિશાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો ત્યારે કથિત રીતે આત્મહત્યા માટે વપરાયેલો જિમ્નાસ્ટિક બેલ્ટ સાથે મોકલાયો ન હતો. પોલીસે આ બેલ્ટ ઘટનાના બે દિવસ પછી તપાસ માટે આપ્યો હતો, જેના કારણે તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: ‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર

લગ્ન જીવનનો તણાવ અને વોટ્સએપ ચેટ 

લગ્નના થોડા જ મહિનાઓમાં ટ્વિશાનું જીવન વિવાદો અને માનસિક તણાવથી ઘેરાઈ ગયું હતું. ટ્વિશાના પરિવારના જણાવ્યાનુસાર, લગ્ન બાદથી જ તેના પર માનસિક અને શારીરિક દબાણ કરાતું હતું. એટલું જ નહીં, તેની ગર્ભાવસ્થા દરમિયાન પણ તેના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવાયા હતા.

આ કેસમાં સૌથી મોટો ખુલાસો ટ્વિશા અને તેની માતા વચ્ચેની વોટ્સએપ ચેટ્સથી થયો છે. ટ્વિશાએ લખ્યું હતું કે, હું સાસરામાં ગૂંગળામણ અનુભવું છું. માનસિક રીતે અસ્વસ્થ છું. મને ઘરમાં હસવાની કે રડવાની પણ આઝાદી નથી અને હું પૂરી રીતે ફસાઈ ગઈ હોવાનું અનુભવું છું.

આમ, મૃત્યુની આગલી રાત સુધી ટ્વિશા પરિવારના સંપર્કમાં હતી અને ઘર છોડવાની વાતો કરતી હતી. તેના મિત્ર સાથેની છેલ્લી વાતચીતમાં પણ તેણે પોતે ફસાઈ ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સાસરિયા વિરુદ્ધ FIR અને ફરી પોસ્ટમોર્ટમની માંગ 

ટ્વિશાના પિતા નવનિધિ શર્મા, ભાઈ મેજર હર્ષિત શર્મા અને માતા રેખા શર્માએ ટ્વિશાના સાસરિયાએ ટ્વિશાની હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવીને ભોપાલના કટારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોલીસે ટ્વિશાના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરીબાલા સિંહ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કર્યો છે. 

પરિવારનો આરોપ છે કે પ્રથમ પોસ્ટમોર્ટમ પ્રક્રિયામાં અનિયમિતતા થઈ છે. સાસરિયા પ્રભાવશાળી હોવાથી પુરાવા સાથે ચેડાં કરવા માટે પ્રક્રિયા ધીમી કરાઈ રહી છે. તેથી પરિવારે હજુ સુધી ટ્વિશાના અંતિમ સંસ્કાર કર્યા નથી. તેઓ બીજા નિષ્પક્ષ પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે આ કેસની તપાસ મધ્ય પ્રદેશ બહાર ટ્રાન્સફર કરાય અને સુપ્રીમ કોર્ટ કે જસ્ટિસની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ થાય.

ધરપકડથી બચવા સાસુના આગોતરા જામીન અને પતિ ફરાર

ભારતીય કાયદા અનુસાર, જ્યારે કોઈ સ્ત્રીનું લગ્નના શરૂઆતના વર્ષોમાં (આ કેસમાં માત્ર 5 મહિનામાં) શંકાસ્પદ સંજોગોમાં મોત થાય અને સાસરિયા પર દહેજ ઉત્પીડન કે ત્રાસનો ગંભીર આક્ષેપ લાગે, ત્યારે પોલીસ તે ગુનાને બિન-જામીનપાત્ર (Non-bailable) ગણીને આરોપીઓની ધરપકડ કરી શકે છે. 

ટ્વિશાના સાસુ ગિરીબાલા સિંહ પોતે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ હોવાથી કાયદાકીય પાસાં સારી રીતે જાણતા હતા, તેથી તેમણે ધરપકડથી બચવા માટે ભોપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટે તેમની વય અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને તેમના આગોતરા જામીન મંજૂર કર્યા છે, જેથી પોલીસ અત્યારે તેમની ધરપકડ કરી શકે નહીં. 

જો કે, કોર્ટે ટ્વિશાના પતિ સમર્થ સિંહની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે, પરંતુ ધરપકડથી બચવા તે ફરાર છે. ભોપાલ પોલીસે સત્તાવાર રીતે તેને ભાગેડુ જાહેર કર્યો છે અને તેની ધરપકડ તરફ દોરી જાય તેવી કોઈ પણ સાચી માહિતી આપનાર માટે ₹10,000ના રોકડ ઇનામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ

સાસુએ ટ્વિશાના ચારિત્ર્ય પર ગંભીર સવાલ ઉઠાવ્યા  

ટ્વિશાની સાસુએ ટ્વિશાની હત્યાના આરોપો નકારી કાઢ્યા છે અને તેના ચારિત્ર્ય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

– ડ્રગ્સનું વ્યસન: સાસુએ દાવો કર્યો છે કે ટ્વિશા ગાંજાનું સેવન કરતી હતી. તે માનસિક રીતે અસ્થિર હતી. ગર્ભવતી હોવા છતાં ગાંજો લેતી હતી. રૂમમાં ગાંજાની ગંધ છુપાવવા માટે તે સુગંધિત મીણબત્તીઓ રાખતી હતી. તે ગર્ભપાત કરાવવા માંગતી હતી. 

– ધાર્મિક વિધિઓમાં અરુચિ: તેમણે કહ્યું કે ટ્વિશા શરૂઆતમાં સંસ્કારી અને આધ્યાત્મિક લાગતી હતી, પણ લગ્નના થોડા વખત પછી તેણે પૂજા-પાઠ, દીવા પ્રગટાવવા કે તુલસી પૂજા બધું બંધ કરી દીધું હતું. 

– દહેજના આરોપો નકાર્યા: સાસુએ જણાવ્યું કે, ‘અમે પોતે જ તેમને સાડા સાત લાખ રૂપિયા આપ્યા હતા, તો અમે બે લાખ રૂપિયાનું દહેજ કેમ માંગીએ?’ તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે વોટ્સએપ મેસેજ અને પરિવારના દબાણમાં આવીને ઉતાવળમાં આ કાર્યવાહી કરી છે.

મોતની તપાસ માટે SITની રચના

આ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાઈ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવા સહિત તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી ટ્વિશાની રહસ્યમય મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤