– પરિવારજનોની સારવાર કરાવવા દિલ્હી આવેલા 11 વિદેશીઓ આગમાં હોમાયા
– હોટેલની બારીઓ કાયમ માટે સીલ કરી દેવાઇ હતી જ્યારે આવવા-જવાનો માત્ર એક જ રસ્તો હોવાથી મોટી જાનહાની થઇ
નવી દિલ્હી : દિલ્હીના માલવિય નગરની એક ગેરકાયદે ચાલતી પાંચ માળની હોટેલમાં ભિષણ આગ લાગી હતી, જેમાં ૨૧ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં ૧૧ લોકો વિદેશી નાગરિકો છે જે પોતાના પરિવારજનોની નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા અને આ હોટેલમાં રોકાયા હતા. આ ઘટના બાદ હોટેલ માલિકની ઘોર બેદરકારી સામે આવી છે.
દિલ્હીના માલવિય નગરમાં આવેલી ફ્લોરિશ સ્ટે હોટેલમાં સવારે સાડા આઠ વાગ્યે આગ લાગવાનું શરૂ થયું હતું, જ્યારે આ ઘટના બની ત્યારે હોટેલમાં ઘણા લોકો ઉંઘી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હોટેલનો આવવા જવાનો રસ્તો માત્ર એક જ હતો, જ્યારે તમામ બારીઓ સીલ રખાઇ હતી, એક પણ બારી ખુલી શકે તેમ નહોતી. આગ જોતજોતામાં સમગ્ર હોટેલમાં ફેલાઇગઇ, જોકે બચવાનો કોઇ જ રસ્તો ન હોવાને કારણે મોટી જાનહાની થઇ હતી, આશરે ૫૮ લોકોને હોસ્પિટલ લઇ જવાયા હતા જેમાંથી ૨૧ લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જે પણ લોકો માર્યા ગયા છે તેમાંથી ૧૦ ભારતીયો જ્યારે ૧૧ વિદેશી નાગરિકો છે. ઘણા લોકોએ
આ વિદેશી નાગરિકો હોટેલની નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પોતાના પરિવારજનોની સારવાર કરાવી રહ્યા હતા અને આ હોટેલમાં રોકાયા હતા. માર્યા ગયેલા આ વિદેશી નાગરિકો મધ્ય એશિયા અને આફ્રિકન દેશોના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ પ્રશાસન અને હોટેલના માલિક બન્નેની ઘોર બેદરકારીના પણ ખુલાસા થયા છે. આ હોટેલને માત્ર છ રૂમની જ મંજૂરી હતી જોકે તેમાં ૨૫ રૂમ બનાવી દેવાયા હતા. છથી સાત વર્ષ પહેલા આ હોટેલમાં માત્ર ગ્રાઉન્ડ અને પહેલો માળ જ હતા, બાદમા કોઇ જ મંજૂરી વગર માળ વધારતા ગયા અને કુલ પાંચ માળ કરી દેવાયા.
એટલુ જ ફાયર એનઓસી પણ નહોતું. હોટેલમાં નીચે રેસ્ટોરાં પણ ખોલવામાં આવ્યું હતું, બેઝમેન્ટ અને ઉપરના માળનો ઉપયોગ હોટેલ તરીકે કરાતો હતો. દિલ્હી પોલીસે આ મામલામાં સદોષ માનવ વધ સહિતના ગુનાની કલમો લગાવીને એફઆઇઆર દાખલ કરી છે. આ સમગ્ર બિલ્ડિંગના માલિકનું નામ લવકેશ છે જ્યારે લાઇસેન્સ જય મિશ્રા નામના વ્યક્તિને ઇશ્યૂ કરાયું હતું. જ્યારે હોટેલના માલિકનું નામ લોકેશ બજાજ હોવાનું પણ ખુલ્યું છે. ઘટના બાદ સફાળા જાગેલા પ્રશાસને આ ત્રણેય આરોપીઓના વિવિધ સ્થળો પર દરોડા પાડયા હતા અને એરપોર્ટ સહિતના સ્થળોને એલર્ટ કરી દેવાયા છે જેથી આરોપીઓ ભાગી ના શકે. જ્યારે ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને વડાપ્રધાન રાહત ફન્ડમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. આ ઘટના સમયના કેટલાક કરૂણ દ્રશ્યો પણ સામે આવ્યા હતા, એક મહિલાએ પોતાના બાળકને બાથમાં લઇને નીચે કુદવા પ્રયાસ કર્યો હતો, તે એક માળેથી બીજા માળે કુદવા લાગી હતી. જે બાદ અન્ય કેટલાક લોકો પણ કૂદી પડયા હતા.


Leave a Comment