![]()
Imtiaz Ali on Ranbir-Alia: બોલિવૂડમાં ઇનસાઇડર વર્સિસ આઉટસાઇડરનો વિવાદ હંમેશાં ચર્ચામાં રહે છે. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા સ્ટાર કિડ્સ પર અવારનવાર એવા આક્ષેપો થાય છે કે તેમને પરિવારના કનેક્શનના કારણે ફિલ્મોમાં સરળતાથી કામ મળી જાય છે અને તેઓ બહારથી આવતા કલાકારોની જગ્યા છીનવી લે છે. જોકે જાણીતા ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી આ બાબતે તદ્દન અલગ અભિપ્રાય ધરાવે છે. તેમનું માનવું છે કે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવવા માટે નેપો કિડ્સ કરતાં બહારથી આવતા લોકો માટે રસ્તો વધુ સરળ હોય છે.
ઇમ્તિયાઝ અલીએ રણબીર અને આલિયાનો કર્યો બચાવ
એક ન્યૂઝ પોર્ટલ સાથેની ખાસ વાતચીત દરમિયાન ઇમ્તિયાઝ અલીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ‘નેપો કિડ્સ’ તરીકે લેબલ કરવાના મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, “મને લાગે છે કે આલિયા, રણબીર અને ફિલ્મ ઉદ્યોગમાં જન્મેલા અન્ય ઘણા કલાકારોએ એક વધારાની કઠિનતા અને પ્રેશરમાંથી પસાર થવું પડે છે, કારણ કે તેમની આસપાસ જ સફળતાના મોટા ઉદાહરણો હાજર હોય છે. પોતાને સફળ સાબિત કરવા માટે તેમણે પોતાના જ પિતા, કાકા કે માતા સાથે સ્પર્ધા કરવી પડે છે. તેના બદલે મારા જેવા બહારથી આવતા લોકો માટે પ્રક્રિયા વધુ સરળ હોય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘તમે રણબીરને ભલે નેપો ચાઇલ્ડ કહો, પરંતુ તેની શાનદાર એક્ટિંગના કારણે તેના પરના તમામ સંશયો દૂર થઈ જાય છે. આલિયા ભટ્ટ પણ એટલી અદભુત અભિનેત્રી છે કે કોઈને તેને રોલ મળવા સામે વાંધો ન હોઈ શકે, ઉલટાનું લોકો ઈચ્છશે કે તેને વધુ ફિલ્મો મળે. ફિલ્મ ઉદ્યોગમાં જન્મેલા લોકોએ પોતાની જાતને સાબિત કરવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડે છે.’
હિટ ફિલ્મોનું કનેક્શન
ઇમ્તિયાઝ અલીએ આલિયા અને રણબીર બંને સાથે પોતાની કારકિર્દીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. આલિયા ભટ્ટની કરિયરને નવી ઊંચાઈ આપનારી ફિલ્મ ‘હાઈવે’નું નિર્દેશન ઇમ્તિયાઝે કર્યું હતું. રણબીર કપૂર સાથે તેમણે ‘રોકસ્ટાર’ અને ‘તમાશા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે આ ફિલ્મો રિલીઝના સમયે બોક્સ ઓફિસ પર મોટી કમાણી નહોતી કરી શકી, પરંતુ વર્ષો જતાં આ ફિલ્મો ક્લાસિક સાબિત થઈ છે અને તેનો મોટો ફેન બેઝ ઊભો થયો છે.
ઇમ્તિયાઝ અલી, રણબીર અને આલિયાના આગામી પ્રોજેક્ટ્સ:
• ઇમ્તિયાઝ અલી : ઇમ્તિયાઝ અલી અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘મેં વાપસ આઉંગા’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. દિલજીત દોસાંજ, વેદાંગ રૈના, શર્વરી અને નસીરુદ્દીન શાહ અભિનીત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયના સ્થળાંતરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મ 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
• રણબીર કપૂર : રણબીર કપૂર ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. બે ભાગમાં બનનારી આ મહાકાવ્ય ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર યશ (રાવણ), સાઈ પલ્લવી (સીતા), રવિ દુબે (લક્ષ્મણ) અને સની દેઓલ (ભગવાન હનુમાન)ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 પર રિલીઝ થશે.
• આલિયા ભટ્ટ : આલિયા ભટ્ટ આગામી સમયમાં શિવ રવૈલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે. આ ફિલ્મમાં બોબી દેઓલ, અનિલ કપૂર અને શર્વરી પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ YRF સ્પાય યુનિવર્સની 7મી ફિલ્મ છે, જે 3 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત કરાઈ છે.


Leave a Comment