Religious Conversion In Ahmedabad: અમદાવાદ જિલ્લામાં દર વર્ષે આશરે 200થી 300 લોકો સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરી રહ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. છેલ્લાં અઢી વર્ષમાં અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી 545 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં 95 ટકાથી વધુ લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ધર્માંતરણ પાછળ મુખ્યત્વે લગ્ન, વ્યક્તિગત આસ્થા અને સામાજિક પરિબળો જવાબદાર ગણાતા હોય છે.
પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ધર્માંતરણનું પ્રમાણ વધુ
દેશમાં કાયદાકીય રીતે પોતાનો ધર્મ ત્યાગી બીજો ધર્મ અંગીકાર કરવાની છૂટ છે. જેથી દર વર્ષે રાજ્યભરમાં સેંકડો લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરીમાં પણ આખું વર્ષ જિલ્લામાંથી ધર્મ પરિવર્તન માટે અરજીઓ આવતી રહે છે. સત્તાવાર આંકડા મુજબ, છેલ્લાં અઢી વર્ષમાં અમદાવાદ જિલ્લાના 545 લોકોએ ધર્મ પરિવર્તન કરી લીધું છે. જેમાં શહેરી વિસ્તારના 60 ટકા જેટલા લોકો હતા. અમરાઈવાડી સહિત પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ધર્માંતરણનું પ્રમાણ વધુ જોવા મળે છે.
આ પણ વાંચો: શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે
સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લાં એક વર્ષથી હવે ધોળકા, સાણંદ, વિરમગામ જેવા ગ્રામ્ય મથકોમાં પણ લોકો સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરતા હોય આ વિસ્તારોમાંથી પણ અરજીઓ આવવા માંડી છે.
ઉલ્લેખનીય છે કે, 95 ટકા લોકોએ હિન્દુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જ્યારે 5થી 10 લોકોએ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ક્યારેક બાળકો સહિત આખા પરિવાર ધર્મ પરિવર્તન કરતા હોવાના કિસ્સા પણ જોવા મળે છે. ધર્મ પરિવર્તનના 30 દિવસ પહેલાં કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લેવી ફરજિયાત છે. જેમાં જે-તે પ્રાંત અધિકારી અને પોલીસના રિપોર્ટ બાદ જ ધર્માંતરણની મંજૂરી અપાય છે.


Leave a Comment