ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ૭ વર્ષની સજા ફટકારવામાં આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દેખાવો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે છોટા ઉદેપુર અને અમરેલીના લાઠી ખાતે આપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
છોટાઉદેપુર ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના પેટ્રોલ પંપ ચોકડીથી શરૂ થઈ ગાંધીજીની પ્રતિમા અને ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા નગરપાલિકા સુધી પહોંચી હતી. રેલીમાં જાડાયેલા સેંકડો કાર્યકરો અને આદિવાસી સમર્થકોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને કોર્ટના ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય બજારમાં વિરોધ રેલી કાઢવામાં આવી હતી. લાઠી અને બાબરા સહિતના વિસ્તારના ‘છછઁ’ના આગેવાનો અને કાર્યકરો આ રેલીમાં મોટી સંખ્યામાં જાડાયા હતા.
આપના આગેવાનોના ગંભીર આક્ષેપો કે, ભાજપ સરકારે રાજકીય કિન્નાખોરી રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટા કેસો કરીને તેમને ફસાવ્યા છે. આ દરમિયાન કાર્યકરોએ ‘બંધ કરો બંધ કરો, તાનાશાહી બંધ કરો’ના ગગનભેદી નારા લગાવીને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોનું કહેવું છે કે, ચૈતર વસાવા આદિવાસીઓનો મોટો અવાજ છે અને તેમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે આગામી દિવસોમાં કાનૂની લડતની સાથે-સાથે સમગ્ર રાજ્યમાં જનઆંદોલન અને વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવી શકે છે



Leave a Comment