સુરત મહાનગરપાલિકા વહીવટી તંત્રમાંથી એમોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના વિવાદાસ્પદ ‘નાસિરનગર ડિમોલિશન’ મામલામાં કથિત ગેરરીતિ અને લાપરવાહી બદલ પાલિકા કમિશનર દ્વારા કડક વલણ અપનાવીને તંત્રના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાઇકોર્ટમાં આ કેસની મહત્વની સુનાવણી યોજાય તે પહેલાં જ પાલિકા દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી મનપાના અન્ય ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓ સામેલ
મળતી માહિતી મુજબ, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓ સામેલ છે. જેમાં સુજલ પ્રજાપતિ, જયાંગ રામજીવાલા, મોનોક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચર સહિતના 5 ઉચ્ચ પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
વ્યાપક ફરિયાદો ઉઠી હતી
નાસિરનગરમાં કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેના આધારે આંતરિક તપાસ બાદ આ તમામ સામે ગાજ પડી છે.
ગુરુવારે હાઇકોર્ટમાં આમામલાની મહત્વની સુનાવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, નાસિરનગર ડિમોલિશનની આ કાયદાકીય લડત હાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહી છે. પીડિતો અને અસરગ્રસ્તો દ્વારા પાલિકાની એકતરફી અને ગેરકાયદેસર કામગીરી સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. આવતીકાલે એટલે કે ગુરુવારે હાઇકોર્ટમાં આ અત્યંત સંવેદનશીલ અને હાઇપ્રોફાઇલ મામલાની મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. કોર્ટની કડક ફટકાર કે આકરા વલણથી બચવા માટે સુરત મનપાએ અગાઉથી જ પોતાની આંતરિક સફાઈ કરીને આ ૫ અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી સસ્પેન્ડ કર્યા હોવાની રાજકીય અને સામાજિક વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. આવતીકાલની કોર્ટ કાર્યવાહી પર હવે સૌની નજર ટકેલી છે.




Leave a Comment