છોટાઉદેપુર જિલ્લામાં કલેકટરે રેતી માફિયાઓને નાથવા માટે બોડેલી, સંખેડા, પાવીજેતપુર સહિતના મામલતદારને રાત્રિના સમય પણ રેડ કરવા અને રેતી ભરેલા વાહનો ચેકિંગ કરવા માટે આદેશ કર્યો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અત્યાર સુધી રેતી માફિયાઓને પકડી શકયા ન હતા. છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનન રોકવા માટે ખાણ ખનીજ વિભાગ નિયુકત કરે છે. જયારે ત્રણ જેટલી ગાડીઓ ખનીજ વિભાગ પાસે છે. રોયલ્ટી ઈન્સ્પેકટર પણ નસવાડી, સંખેડા, બોડેલી, છોટાઉદેપુર ખાતે ફરજ બજાવે છે.
છોટાઉદેપુર નજીક ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ભરેલુ ટ્રેકટર નીકળતા છોટાઉદેપુરના મહિલા મામલતદાર દ્વારા રાત્રિના સમયે તેનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે ટ્રેકટર ચાલકે પુરપાટ વાહન ચલાવીને મામલતદારની ગાડીની આગળ જ રસ્તા પર રેતી ખાલી કરી દીધી અને જંગલમાં ભાગી ગયો હતો. જયાં મામલતદારની ગાડી પહોંચી શકી નહિ. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તંત્ર દ્વારા વાયરલ કરાયો હતો. આ કાર્યવાહી જિલ્લા કલેકટરના નિર્દેશ પર કરવામાં આવી રહી છે. જેઓ છેલ્લા એક મહિનાથી ખનીજ વિભાગના અધિકારીઓને અંધારામાં રાખીને ઓરસંગ નદીના પટમાં અલગ અલગ રેડ કરી રહ્યા છે. આ કામગીરીમાં છોટાઉદેપુર, પાવીજેતપુર, સંખેડા અને બોડેલી એમ પાંચ મામલતદારો તેમજ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓને ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા અને વાહનોને પકડવા માટે તૈનાત કરાયા છે. જોકે આ કામગીરી ખનીજ વિભાગની હોય છે. પરંતુ જિલ્લા કલેકટર અને ખનીજ વિભાગ વચ્ચે મતભેદ ગજગ્રાહ હોવાનુ જણાય છે. જેના કારણે કલેકટર આ પ્રકારની કાર્યવાહી કરાવી રહ્યા છે.


Leave a Comment